કેનેડામાં વધુ એક ગુજરાતી યુવકનું મોત, DySPના દીકરાની શંકાસ્પદ હાલતમાં મળી લાશ

PC: divyabhaskar.co.in

કેનેડામાં વધુ એક ગુજરાતી યુવાનની લાશ મળવાના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના DySPનો દીકરો કેનેડામાં રહીને અભ્યાસ કરતો હતો. તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીની સિક્યોરિટીમાં રહી ચુકેલા DySPનો દીકરો સાત દિવસ પહેલા કેનેડામાં ગૂમ થયો હતો. જેની લાશ મળી આવી છે. ઉલ્લેખનીય છે કે, મૂળ અમદાવાદનો અને હાલ કેનેડામાં અભ્યાસ કરતો હર્ષ પટેલ નામનો યુવક પણ 20 દિવસ પહેલા ગૂમ થયો હતો. બાદમાં જેની લાશ મળી આવી હતી. હર્ષ જે યુનિવર્સિટીમાં ભણતો હતો તે જ યોર્ક યુનિવર્સિટીમાં DySPનો દીકરો આયુષ ડાંખરા પણ ભણતો હતો.

મૂળ ભાવનગરના સિદસર ગામના વતની અને હાલ પાલનપુર ખાતે ફરજ બજાવતા DySP રમેશભાઈ ડાંખરાનો 23 વર્ષીય પુત્ર આયુષ ડાંખરા 12માં ધોરણ સુધી અહીં અભ્યાસ કર્યા બાદ વધુ અભ્યાસ માટે સાડા ચાર વર્ષ પહેલા કેનેડા ગયો હતો. આયુષ ગત 5 મેના રોજ ગૂમ થયો હતો. તેના મિત્રોએ આ અંગે ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી અને તેની જાણ તેના પરિવારજનોને પણ કરી હતી. ગૂમ થયાના બીજા દિવસે આયુષની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

મૃતકના આયુષના કાકા નારણભાઈએ જણાવ્યું હતું કે, આયુષના પરિવારમાં એક નાનો ભાઈ અને માતા-પિતા છે, તે હાલ 23 વર્ષનો હતો. તેના પિતા પાલનપુરમાં DySP તરીકે ફરજ બજાવે છે અને અમે બધા સિદસરમાં રહીએ છીએ. આયુષનો નાનો ભાઈ ગાંધીનગરમાં અભ્યાસ કરે છે. આયુષે પણ ધો. 12 સુધીનો અભ્યાસ ગાંધીનગરમાં કર્યો છે અને ત્યાંથી તે સાડા ચાર વર્ષ પહેલા કેનેડા વધુ અભ્યાસ માટે ગયો હતો. ત્રણ વર્ષની કોલેજ બાદ તે માસ્ટર્સનું ભણી રહ્યો હતો અને છ મહિનામાં તેની માસ્ટર ડિગ્રી પૂરી થવાની હતી.

આયુષ કેનેડાની યોર્ક યુનિવર્સિટીમાં ભણતો હતો અને 4-5 ગુજરાતી મિત્રો સાથે રહેતો હતો. આયુષ ગત 5મી તારીખે ઘરેથી નીકળ્યો હતો અને દોઢ દિવસ સુધી પાછો ઘરે ના આવતા તેના મિત્રોએ આયુષના પિતાને આ અંગે જાણ કરી હતી. આયુષના પિતા રમેશભાઈએ તેના ગૂમ થવાની ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લખાવવાનું કહ્યું હતું આથી તેના મિત્રોએ આયુષના ગૂમ થવાની ફરિયાદ લખાવી હતી. પોલીસ ફરિયાદ કર્યાના 6-7 કલાકમાં જ પોલીસનો એક ડેડબોડી મળી હોવાનો ફોન આવ્યો હતો. તેના મિત્રો હોસ્પિટલમાં ડેડબોડીની ખરાઈ કરવા માટે પહોંચ્યા હતા અને તે લાશ આયુષની જ નીકળી હતી.

આયુષના મોતના કારણ અંગે પોલીસ તપાસ કરી રહી છે. તેમજ CCTV ફુટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે જેથી તેના લોકેશન અંગે જાણકારી મેળવી શકાય. આયુષના કાકા નારણભાઈએ જણાવ્યું કે, આયુષ પોતાના રૂટિન મુજબ કોલેજ જવા માટે ઘરેથી નીકળ્યો હતો. તેનો પરિવાર સુખી-સંપન્ન હોવાથી તે કેનેડામાં નોકરી કરતો ન હતો. દર 2-3 દિવસે ફેમિલી સાથે વીડિયો કોલ પર વાત કરતો હતો. આયુષ ભણવામાં હોંશિયાર અને મળતાવડા સ્વભાવનો હતો. તે હંમેશાં બધાને મદદ કરવા માટે તત્પર રહેતો હતો. કેનેડામાં વસતા ગુજરાતીઓ, અન્ય સંસ્થાઓ તેમજ આપણા મંત્રીઓની મદદથી કેનેડામાં ડેડબોડી મેળવવાની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઈ ગઈ અને ગુજરાત અને ભારત સરકારનો તેમા ખૂબ જ સપોર્ટ રહ્યો. રવિવારે અમદાવાદ એરપોર્ટ પર આયુષની ડેડબોડી લાવવામાં આવશે.

એક મહિના પહેલા જ અમદાવાદના હર્ષ પટેલ નામના યુવકની લાશ પણ ટોરેન્ટોમાંથી મળી આવી હતી.  14 એપ્રિલ, 2023ના રોજ હર્ષ ઘરેથી ફ્રેન્ડને અસાઇન્મેન્ટ આપવાનું કહીને નીકળ્યો હતો અને ક્યારેય પાછો આવ્યો ન હતો અને રવિવારે તેની લાશ મળી આવી હતી પણ તેનો મોબાઈલ ફોન મળ્યો ન હતો. હર્ષના કાકાએ આ અંગે પોલીસને જાણ કરી હતી કે હર્ષનો મોબાઈલ ચાલુ છે પણ કોઈ રીસિવ નથી કરી રહ્યું. તો પોલીસે કહ્યું હતું કે, તમને ડેડબોડી મળી ગઈ હવે શું છે? ત્યારે અમે કહ્યું, અમારે બધા સવાલોના જવાબ જોઈએ કે તેની સાથે શું થયું હતું? તેનું મૃત્યુ કઈ રીતે થયુ? તો પોલીસે કહ્યું કે, સમય જશે, પણ અમે 100 ટકા તપાસ કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp