- National
- શું RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન રાજકારણમાં પ્રવેશવા જઇ રહ્યા છે?
શું RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન રાજકારણમાં પ્રવેશવા જઇ રહ્યા છે?
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની સાથે 14મી ડિસેમ્બરના રોજ ભારત જોડો યાત્રામાં હિસ્સો લીધો હતો. રાજસ્થાનના સવાઇ માધોપુરથી પસાર થતા આ યાત્રામાં RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને રાહુલ ગાંધી સાથે યાત્રામાં ભાગ લીધો હતો. આ દરમિયાન રઘુરામ રાજનનો એક ઇન્ટરવ્યૂ પણ સામે આવ્યો જેમાં રઘુરામ રાજને અર્થવ્યવસ્થાના કેટલાક પરિબળો પર ચર્ચા પણ કરી હતી.

ઇકોનોમિક ટાઇમ્સના એક રિપોર્ટ અનુસાર, રઘુરામ રાજને ફરીથી ભારત જોડો યાત્રા વિશે વાત કરી હતી. તેમણે આ સવાલનો પણ જવાબ આપ્યો કે, શું તેઓ ભારતીય રાજકારણમાં પગ મૂકવા જઇ રહ્યા છે કે નહીં?
રઘુરામ રાજને મીડિયા સાથેની વાતચીતમાં સવાલોના જવાબ આપતા કહ્યું હતું કે, તેમણે ભારત જોડો યાત્રામાં એટલા માટે હિસ્સો લીધો કારણ કે, એક નાગરિક હોવાના કારણે તેમને આમ કરવું જરૂરી લાગ્યું. તેમણે કહ્યું કે, ભારતની સૌથી મોટી તાકાત ભારતનું લોકતંત્ર જ છે, પણ ભારતમાં સામાજિક સમરસતા અને સર્વધર્મ સમભાવની ભાવના પર જોખમ નજરે પડી રહ્યું છે. એક ભારતીય નાગરિક હોવાના કારણે તેઓ દેશના મુદ્દાઓથી પરિચિત છે અને તે મુદ્દાઓ પ્રત્યે પોતાની જવાબદારી સમજે છે, તેઓ આ યાત્રામાં ફક્ત એક ભાગીદાર તરીકે શામેલ થયા હતા. યાત્રામાં જોડાવા સાથે તેનો કોઇ રાજકીય અર્થ ન નીકળવો જોઇએ.

રઘુરામ રાજને એ પણ કહ્યું કે, તેમની રાજકારણમાં આવવાની કોઇ યોજના નથી, સાથે જ તેમના ભારત જોડો યાત્રામાં શામેલ થવા પાછળના કારણ પર જે ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે, તેનો કોઇ આધાર નથી. રઘુરામ રાજનને ઇન્ટરવ્યૂ રાહુલ ગાંધીએ પણ લીધો હતો અને તેમાં RBIના પૂર્વ ગવર્નર રાજને કહ્યું હતું કે, આગામી વર્ષે આખી દૂનિયામાં વિકાસ દરમાં ઘટાડો જોવા મળશે.
વ્યાજ દરોમાં સતત વધારો થઇ રહ્યો છે અને તેની અસર ભારત પર પણ પડશે. ભારતમાં પણ વ્યાજ દરો વધ્યા છે પણ ભારત દ્વારા થઇ રહેલો વધારો સતત ઘટી રહ્યો છે. ભારતમાં જે મોંઘવારી છે તે કોમોડિટી ભાવમાં ઉછાળાના કારણે છે, શાકભાજીઓની મોંઘવારી દેશના વિકાસ માટે નેગેટિવ કામ કરશે.

