પોતાની જ સરકાર સામે BJPના 9 MLAએ PMને પત્ર લખ્યો, પછી બીજા દિવસે 8 MLAએ.....

મણિપુરમાં છેલ્લાં દોઢ મહિનાથી ભડકેલી હિંસા અટકવાનું નામ નથી લેતી. મૈતેઇ સમુદાયના ભાજપના9 ધારાસભ્યોએ પોતાની જ સરકાર સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને કહ્યુ હતું કે લોકોનો રાજ્ય સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. જો કે 9માંથી 8 ધારાસભ્યોએ બીજા દિવસે પલટી મારી દીધી હતી.
અધિકારીઓએ કહ્યું કે હજુ પણ થંગજિંગ અને ગેલજેંગ જેવા બે સ્થળોએ અટકી અટકીને ગોળીબાર ચાલી રહ્યો છે.આ વચ્ચે ભાજપના જ 9 ધારાસભ્યોએ પોતાની સરકાર સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો કે લોકોનો મુખ્યમંત્રી બીરેન સિંહ પર વિશ્વાસ ઉઠી ગયો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકા રવાના થયા તેના એક દિવસ પહેલા PM મોદીને લખેલા પત્રમાં 9 ધારાસભ્યોએ કહ્યુ હતુ કે, વર્તમાન સરકાર અને તંત્રમાં લોકોને હવે કોઇ વિશ્વાસ રહ્યો નથી. કાયદાને અનુસરીને યોગ્ય વહીવટ અને કાર્ય માટે અમુક વિશેષ પગલાં લઇ શકાય જેથીસામાન્ય લોકોનો વિશ્વાસ અને વિશ્વાસ પુનઃસ્થાપિત થઇ શકે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખનાર મણિપુરના મૈતેઇ સમાજના 9 ધારાસભ્યોમાં કરમ શ્યામસિંહ, રાધેશ્યામ સિંહ, નિશિકાંત સિંહ, રઘુમણિ સિંહ, એસ, બ્રોજેન સિંહ, ટી રોબિન્દ્રો સિંહ, એસ રાજેન સિંહ, એસ કેબી દેવી અને ડો. વાઇ રાધેશ્યામનો સમાવેશ થાય છે.
બીરેન સિંહ-સરકારને નિષ્ફળ ગણાવતા આ આવેદનને મણિપુર ભાજપમાં અસંતોષના બીજા એપિસોડ તરીકે જોવામાં આવે છે. આખી વાતમાં ટ્વીસ્ટ ત્યારે આવ્યો જ્યારે, 20 મેના રોજ, હસ્તાક્ષર કરનારા નવમાંથી આઠ ધારાસભ્યો 30 ભાજપના ધારાસભ્યોના એ જૂથમાં જોડાયા જેઓ મુખ્ય પ્રધાનના કટ્ટર સમર્થક તરીકે જાણીતા છે. બધા એકતા દર્શાવતા મીડિયાની સામે ભેગા થઇ ગયા હતા અને કહ્યું હતું કે મણિપુરના મુદ્દાના ઉકેલ માટે અમે બધા એક છીએ.
આ આવેદન પત્ર તે જ દિવસે વડા પ્રધાનને સુપરત કરવામાં આવ્યું હતું જ્યારે બિરેન સિંહના વફાદાર મૈતેઇ ધારાસભ્યો દિલ્હીમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને મળ્યા હતા. તેમણે સસ્પેન્શન ઓફ ઓપરેશન (SOO) હેઠળ કુકી બળવાખોર જૂથો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. મોટાભાગના મૈતેઇ જૂથો દાવો કરે છે કે કુકી આતંકવાદીઓનો હિંસા પાછળ હાથ છે. બીજા દિવસે 20 જૂને 9માંથી 8 ધારાસભ્યો મુખ્યમંત્રીના સમર્થક ગ્રુપમાં જોડાઇ ગયા હતા અને પાર્ટીના મહાસચિવ બી એલ સંતોષને મળ્યા હતા. તેમણે કહ્યું કે અમને ગુમરાહ કરવામાં આવ્યા હતા. 9 ધારાસભ્યોમાંથી માત્ર રાધેશ્યામ સિંહ જ બી એલ સંતોષને મળ્યા નહોતા.
એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં રાધેશ્યામ સિંહે કહ્યું કે બે લડતા સમુદાયોએ ત્રીજા પક્ષનો સંપર્ક કરવો જોઈએ અને બંને સમુદાયના ધારાસભ્યોએ રાજ્યમાં સમાધાન અને શાંતિ માટે વાટાઘાટો કરવી જોઈએ. તેમણે કહ્યું કે, હિંસા શરૂ થઈ ત્યારથી બે કુકી મંત્રીઓએ ઈમ્ફાલની મુલાકાત લીધી નથી. જો તેઓ ઇમ્ફાલ નહીં જઈ શકે તો સરકારનું કામ અટકી જશે. શું આપણે કુકીને સામેલ કર્યા વિના શાંતિ અને ઉકેલ મેળવી શકીએ? પાંચ મુદ્દાના આવેદન પત્રમાં, ધારાસભ્યોએ કુકી ધારાસભ્યો અને મૈતેઇ ધારાસભ્યો વચ્ચે બેઠક માટે વિનંતી કરી છે. તેઓએ મણિપુરના તમામ ભાગોમાં કેન્દ્રીય દળોની વ્યાપક તૈનાતની પણ માંગ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp