NCPમાં તો બે ફાડચા પડ્યા જ પણ અજિત પવારની એન્ટ્રીથી શિંદે ગ્રુપમાં પણ ભાગલા

મહારાષ્ટ્રમાં ભાજપ સાથે સરકાર બનાવનાર શિવસેના ( શિંદે)ને હજુ 30 જૂને એક વર્ષ પુરુ થયું હતું અને ઉદ્ધવ સાથે છેડો ફાડીને આવેલા ઘણા બધા નેતાઓ મંત્રી બનવાના સપના જોતા હતા,પરંતુ NCPના અજિત પવાર સહિત 8 મંત્રીઓને શિંદે સરકારમાં સામેલ થવાને કારણે તેમના સપના ચકનાચૂર થઇ જતા દેખાઇ રહ્યા છે, એટલે શિંદે ગ્રુપમાં પણ ભારે નારાજગી વ્યાપી ગઇ છે. અજિત પવારની એન્ટ્રીને કારણે NCPમાં તો બે ભાગલા પડી જ ગયા છે, પરંતુ હવે શિંદે ગ્રુપમાં પણ બે ભાગલા પડી રહ્યા છે.
NCP નેતા અજિત પવાર તેમના કાકા શરદ પવાર સામે બળવો કરીને એકનાથ શિંદે સરકારમાં જોડાયા હતા. તેમણે મહારાષ્ટ્રના ડેપ્યુટી CM તરીકે શપથ લીધા. તેમની સાથે NCPના 8 ધારાસભ્યોએ પણ શિંદે સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા હતા. NCPના બળવાખોર નેતાઓ મહારાષ્ટ્ર સરકારમાં જોડાયા બાદ એકનાથ શિંદે જૂથમાં બેચેની અને નારાજગી જોવા મળી રહી છે. શિવસેના (શિંદે જૂથ)ના નેતા સંજય શિરસાટે કહ્યું કે અમે હંમેશા NCP અને શરદ પવારની વિરુદ્ધ જ રહ્યા છે.તેમણે કહ્યું કે NCP નેતાઓ સાથે આવ્યા બાદ અમારા નેતાઓ નારાજ છે. કારણ કે NCPમાં જોડાયા પછી અમારા કેટલાક નેતાઓને ઈચ્છિત પદ નહીં મળી શકે.
સંજય શિરસાટે કહ્યું કે, જ્યારે પણ રાજનીતિમાં અમારા હરીફ અમારી સાથે જોડાવા માંગે છે, ત્યારે અમારે તેમને સામેલ કરવા પડે છે અને ભાજપે તે જ કર્યું છે. પરંતુ NCPના નેતાઓ સાથે આવ્યા બાદ અમારા નેતાઓ નારાજ છે. કારણ કે અમારા કેટલાક નેતાઓને ઈચ્છિત હોદ્દો નહીં મળે. NCP અમારી સાથે જોડાવાથી અમારા તમામ નેતાઓ ખુશ છે તે સાચું નથી. અમે આ અંગે CM અને ડેપ્યુટી CMને પણ જાણ કરી છે અને તેઓએ આ સમસ્યાનો ઉકેલ લાવવો પડશે.
સંજય શિરસાટે કહ્યું કે, અમે હંમેશા NCP અને શરદ પવારની વિરુદ્ધ છીએ. શરદ પવારે ઉદ્ધવ ઠાકરેને પ્યાદુ બનાવીને સરકાર ચલાવી.મહારાષ્ટ્રના CM હોવા છતાં તેઓ અમારા નહોતા. અમારો વિરોધ વાજબી છે. અગાઉ પણ અમે ઉદ્ધવ ઠાકરેને NCP પાર્ટી છોડવાનું કહેતા હતા. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી એકનાથ શિંદે આ મુદ્દાનો ઉકેલ લાવશે.
આ પહેલા સોમવારે પણ શિંદે જૂથના તમામ મંત્રીઓ CM શિંદેને થાણેમાં તેમના ખાનગી નિવાસસ્થાને મળ્યા હતા. આ દરમિયાન કેબિનેટ મંત્રીઓ સાથે ઉદય સામંત, ગુલાબરાવ પાટીલ, શંભુરાજ દેસાઈ, શિંદે જૂથના નેતાઓ દાદા ભુસે, સંદીપન ભુમરે હાજર હતા. અજિત પવાર અને તેમના વફાદારોને સરકારમાં સામેલ કરવાના નિર્ણય પર પણ બધાએ નારાજગી વ્યક્ત કરી હતી.
શિંદે કેમ્પમાં બેચીનીનું કારણ પાયાવિહોણું નથી. હકીકતમાં, શિંદે-ફડણવીસ સરકારે 30 જૂને જ એક વર્ષ પૂરુ કર્યું હતું, પરંતુ હજુ પણ રાજ્યમાં 23 કેબિનેટ ખાલી છે. અજિત પવારના બળવા અને NDAમાં તેમના પ્રવેશનો એપિસોડ સામે આવ્યો, અન્યથા મહારાષ્ટ્ર સરકાર જુલાઈમાં કેબિનેટનું વિસ્તરણ કરવા જઈ રહી છે તે લગભગ નિશ્ચિત હતું. એવા સમાચાર સામે આવ્યા છે દેખીતી રીતે, જો કેબિનેટ વિસ્તરણ માત્ર ભાજપ-શિવસેના વચ્ચે થયું હોત, તો શિંદે જૂથના નેતાઓ અને ધારાસભ્યોને ખાતા મળી ગયા હોત. પરંતુ, જ્યારે અજિત પવારે NDAમાં એન્ટ્રી લીધી ત્યારે તેમની સાથે 8 નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા. આવી સ્થિતિમાં આ મંત્રી પદો ભાજપ-શિવસેનાના ક્વોટામાંથી કાપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp