સંસદમાં રાહુલના PM મોદી પર પ્રહાર, કહ્યું- રાવણ બે લોકોની વાત સાંભળતો....

સાંસદનું સભ્યપદ મળ્યા પછી બુધવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન મોદી સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભારત જોડો યાત્રાના અનુભવ વિશે પણ વાત કરી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું, માનનીય સ્પીકર, હું તમારી માફી માંગવા માંગુ છું. છેલ્લી વખતે મેં અદાણીના મુદ્દે જોરથી વાત કરી હતી. એનાથી વરિષ્ઠ નેતાઓને કષ્ટ થયું હતું, પરંતુ તમારે હવે ડરવાની જરૂર નથી. ગભરાવાની જરૂર નથી. આજે મારું ભાષણ અદાણી પર નથી થવાનું. તમે રિલેક્સ કરી શકો છો. શાંત રહી શકો છો. મારું ભાષણ આજે બીજી દિશામાં રહેશે.
રાહુલ ગાંધીએ રુમીની પંક્તિ શેર કરીને કહ્યુ કે, જે શબ્દ દિલથી આવે છે, તે શબ્દ દિલમાં જાય છે. તો આજે દિમાગથી નહીં, પરંતુ દિલથી બોલવા માંગુ છું અને તમારા લોકો પર આક્રમણ નહીં કરીશ. સાથે રાહુલે કહ્યું કે, હા, પરંતુ એક બે દારુગોળો જરૂર ફેંકીશ, પરંતુ વધારે નહીં મારું, એટલે તમે રિલેક્સ કરી શકો છો.
લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, ઘણા બધા લોકોએ મને પૂછ્યું હતું કે તમે કેમ ચાલી રહ્યા છો? તમારો હેતુ શું છે? તમે કન્યાકુમારીથી કાશ્મીર સુધી કેમ જઇ રહ્યા છો? રાહુલે કહ્યું, શરૂઆતમાં હું જવાબ આપી શકતો નહોતો. કદાચ મને પોતાને ખબર નહોતી કે આ ભારત જોડો પદયાત્રા હું શું કામ કરી રહ્યો છું. હું લોકોને જાણવા માંગતો હતો. તેમને સમજવા માંગતો હતો. થોડા સમય પછી મને વાત સમજમાં આવવા માંડી હતી. જે માટે હું મરવા તૈયાર, PM મોદીની જેલોમાં જવા તૈયાર, જેના માટે હું દરરોજ ગાળો ખાતો હતો. એ વાતને હું સમજવા માંગતો હતો. એ શું છે? જેણે મારા દિલને આટલી મજબુતીથી પકડી રાખ્યો છે, એ વાતને સમજવા માંગતો હતો.
રાહુલે કહ્યું, હું દરરોજ 8થી 10 કિ.મી. ચાલતો હતો. તો તે વખતે હું એવું વિચારતો કે હું 20થી 25 કિ.મી ચાલી શકું છુ. મને અહંકાર આવી ગયો હતો. પરંતુ ભારત અહંકાર પળવારમાં મિટાવી દે છે. બે-ત્રણ દિવસમાં જ મારા ઘુંટણમાં દુખાવો શરૂ થયો અને મારો અહંકાર નિકળી ગયો. મારો અહંકાર વરૂમાંથી કીડી બની ગયો હતો.
રાહુલ ગાંધીએ આગળ કહ્યુ કે, થોડા દિવસ પહેલાં હું મણિપુર ગયો હતો, પરંતુ આપણા PM મણિપુર ન ગયા, કારણકે તેમના માટે મણિપુર ભારત નથી. મણિપુરનું સત્ય એ છે કે હવે આ રાજ્ય બચ્યું નથી. તમે મણિપુરને બે હિસ્સામાં વહેંચી નાંખ્યું છે, તોડી નાંખ્યું છે. તેમણે મણિપુરમાં હિંદુસ્તાનની હત્યા કરી છે. તેમણે મણિપુરમાં હિંદુસ્તાનને માર્યું છે, મર્ડર કર્યું છે.
રાહુલે કહ્યું, જેમ મેં ભાષણની શરૂઆતમાં કહ્યું હતું કે, ભારત એક અવાજ છે. ભારત આપણા લોકોનો અવાજ છે. તે હૃદયનો અવાજ છે. તેં અવાજને મણિપુરમાં તમે મારી નાખ્યો. મતલબ કે તમે મણિપુરમાં ભારત માતાની હત્યા કરી. તમે મણિપુરના લોકોને મારીને ભારત માતાની હત્યા કરી. તમે દેશદ્રોહી છો તમે દેશપ્રેમી નથી. એટલા માટે તમારા PM મણિપુર જઈ શકતા નથી.
ગાંધીએ કહ્યુ કે,કારણ કે તેઓએ ભારતને મારી નાખ્યું છે. ભારત માતાની હત્યા કરવામાં આવી છે. તમે ભારત માતાના રક્ષક નથી, તમે ભારત માતાના હત્યારા છો. આ દરમિયાન સ્પીકર ઓમ બિરલાએ રાહુલને અટકાવ્યા અને કહ્યું કે તેઓ સન્માન સાથે બોલે. તેના પર રાહુલ ગાંધીએ કહ્યું કે હું મારી માતાની હત્યાની વાત કરી રહ્યો છું. હું આદર સાથે બોલું છું.
ભારતીય સેના મણિપુરમાં એક દિવસમાં શાંતિ લાવી શકે છે. પરંતુ તમે તેનો ઉપયોગ કરતા નથી. કારણ કે તમે મણિપુરમાં ભારત માતાને મારવા માંગો છો. જો PM મોદી તેમના દિલની વાત નથી સાંભળતા તો તેઓ કોની વાત સાંભળે છે, તેઓ માત્ર બે જ લોકોની વાત સાંભળે છે.
રાહુલે કહ્યું, રાવણ બે લોકોની વાત સાંભળતો હતો, મેઘનાથ અને કુંભકર્ણ, તેવી જ રીતે PM મોદી માત્ર બે લોકોની વાત સાંભળે છે, અમિત શાહ અને અદાણી. હનુમાને લંકા બાળી ન હતી, અહંકારે લંકા બાળી હતી. રામે રાવણને માર્યો નહોતો, તેના અહંકારે તેને માર્યો હતો. તમે આખા દેશમાં કેરોસીન ફેંકી રહ્યા છો. તમે હરિયાણાને બાળી રહ્યા છો. તમે આખા દેશને બાળવામાં લાગેલા છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp