ભાવનગરમાં કોરોનાનો કહેર, આ 4 ગામમાં બે મહિનામાં 225 લોકોના મોત

PC: Dainikbhaskar.com

કોરોનાનો કહેર રાજ્યમાં વધી રહ્યો છે. તેની સાથે-સાથે મૃત્યુલોકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાના કહેરથી ભાવનગર જિલ્લાના ગામડામાં મોતનો આંકડો વધ્યો છે. બે મહિનાના સમયમાં ભાવનગરના ચાર ગામડામાં 225 લોકોએ જીવ ગુમાવ્યો છે.

રિપોર્ટ અનુસાર કોરોનાની મહામારી વચ્ચે ઉમરાળા અને વલભીપુર પંથકમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઉમરાળા તાલુકાના ચોગઠ રંધોળા અને લીમડા ગામમાં કોરોના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા બે મહિનાના સમયમાં ઉમરાળામાં 35 લોકોના મોત થયા છે. ચોગઠ ગામમાં 90, રંધોળામાં 70 અને લીમડામાં 35 લોકોના મોત થયા છે. ચારેય ગામડાઓમાં મળીને બે મહિનાના સમયમાં 225 લોકોએ જીવ ગુમાવ્યો છે.

મહત્ત્વની વાત છે કે, ચોગઠ ગામની અંદર 12 હજાર લોકોની વસ્તી છે. આ ગામમાં કોરોના એવો કહેર મચાવ્યો છે કે, સ્મશાનમાં લાકડાં બે મહિનાના સમયમાં જ ખતમ થઈ ગયા છે. એટલે કોરોનાની મહામારી વચ્ચે તાત્કાલિક લાકડા નવસારીથી મગાવવામાં આવી રહ્યા છે. પહેલા આ ગામની અંદર એક મહિનામાં એકથી બે લોકોના મોત થતા હતા પરંતુ હવે છેલ્લા બે મહિનામાં 90 લોકોના મોત થતાં હાહાકાર મચી ગયો છે. તો ચોગઠ ગામની અંદર એક જ પરિવારના માતા, દીકરો અને કાકા એમ ત્રણ લોકોના કોરોનાથી મોત થયા છે.

ભાવનગરમાં કોરોના પોઝિટિવ કેસો વધતા ઉમરાળા ખાતે એક કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ સેન્ટરમાં 40 બેડની સુવિધા છે અને હાલ તમામ બેડ ફૂલ થઈ ગયા છે. તો બીજી તરફ ઉમરાળામાં પણ બે મહિનામાં 35 લોકોના મોત થયા છે. ઉમરાળા ગામની વસ્તી 15 હજારની છે અને 30 લોકોના મોતથી ગામમાં હચમચી ગયુ છે. ઉમરાળા ગામમાં પણ થોડા સમય પહેલા એક જ પરિવારના બે પુત્ર અને પિતા એટલે કે ત્રણ સભ્યોના મોત થયા હતા.

રંધોળામાં કોરોના પોઝિટિવ કેસ વધતા હોવાથી ગામના લોકોએ મીની લોકડાઉન જાહેર કર્યું છે અને આ ગામની હાલત એવી છે કે, ગામમાં લોકોને સારવાર મળી રહે તે માટે PHC સેન્ટર છે પરંતુ આ સેન્ટરની અંદર કામ કરવા માટે સ્ટાફ નથી. રંધોળાનું આરોગ્ય કેન્દ્ર ઉમરાળા તાલુકાનું સૌથી મોટું આરોગ્ય કેન્દ્ર મનાય છે પરંતુ હાલ એક પણ સ્ટાફ કામ કરી રહ્યો નથી અને બે મહિનામાં 70 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ચોગઠ ગામમાં રહેતા વિહા આદેશરા જણાવ્યું હતું કે, અમારા ગામમાં એક જ પરિવારના મા-દીકરો અને કાકાનું મોત થતાં ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ ઉપરાંત ગામમાં દર્દીઓની સારવાર માટે 4 બેડ ઉભા કરવામાં આવ્યા છે પરંતુ અહીં બરાબર સગવડ પણ આપવામાં આવતી નથી.

ધર્મેન્દ્ર હેજમ નામના એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, કોવિડ સેન્ટરમાં દવાથી માંડીને જમવાની જવાબદારી ઉમરાળા આધ્યાત્મિક સાધના કેન્દ્ર નિભાવી રહ્યું છે. તાલુકાના 50 જેટલા ગામોને સેનિટાઈઝ કરવામાં આવ્યા છે અને ઓક્સિજનની 75 બોટલો વિનામૂલ્યે આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp