સુરત પોલીસે વ્યાજખોર પાસેથી ઘર છોડાવી સાસુ વહુને ઘર વખરીનો સામાન પણ લઈ આપ્યો

PC: divyabhaskar.co.in

અડાજણ પોલીસે વિધવા સાસુ-વહુના 7 લાખના મકાનને વ્યાજખોર પાસેથી છોડાવી આપ્યું છે. એ સિવાય ઘરમાં કોઈ સામાન ન હોવાથી પોલીસે જીવન જરૂરિચાતની વસ્તુંઓની વ્યવસ્થા કરી આપી છે. જેમાં નવું ટી.વી., ફ્રીઝ, પંખા, કબાટ, પલંગ, ગાદલા અને વાસણો લઈ આપવામાં આવ્યા છે. પોલીસે કહ્યું કે ‘તમને દર મહિને રાશન પણ ભરાવી આપીશું. અડાજણમાં મહાનગર પાલિકાના આવાસમાં રહેતી 81 વર્ષીય વૃદ્ધા સાથે તેની 60 વર્ષીય વિધવા વહુ પણ રહે છે. લોકડાઉનમાં વહુ બીમાર પડી હતી. ત્યારે તેનું ઓપરેશન કરાવવું પડે તેવી સ્થિતિ હતી.

આવા કપરા સમયે પૈસા ક્યાંથી લાવવા તે પ્રશ્ન હતો. તેથી વિધવા વહુએ નજીકના સંબંધી પાસેથી 1 લાખ વ્યાજે લીધા હતા. આ રકમ વહુ ચૂકવી શકી નહોતી, તેથી વ્યાજખોરે મકાનના ડોક્યૂમેન્ટ કબજે કરી તાળું મારી દીધું હતું. 60 વર્ષીય વિધવા દોઢ વર્ષથી બે દીકરીઓના ઘરે 5-5 દિવસ રહેતી હતી. બીજી તરફ 81 વર્ષની સાસુ પાડોશીઓ પાસેથી ભોજન માગી ખાતી હતી અને જ્યાં ઓટલો મળે ત્યાં સૂઈ રહેતી હતી. પોલીસે કહ્યું હતું કે, કોઈને પણ વ્યાજખોરોના ત્રાસ હોય તો પોલીસના 100 નંબર પર કોલ કરે અથવા તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકે છે.

વ્યાજખોર વિધવા વહુની દીકરીનો મામો સસરો છે. પોલીસ વ્યાજખોરો સામે કાર્યવાહી કરી રહી હોવાનું ધ્યાનમાં આવતા બંને મહિલાઓએ પોલીસ સ્ટેશને આવી વિનંતી કરી હતી. જો કે, વ્યાજખોર સામે કાર્યવાહી ન કરવા પણ કહ્યું હતું. કેમ કે તે વિધવા વહુની દીકરીનો મામો સસરો થતો હતો. અડાજણ પોલીસ સ્ટેશનના PI આર.બી. ગોજીયાએ જણાવ્યું કે, લોકો સાથે સુમેળભર્યું વાતાવરણ બને તે માટે બંને મહિલાને મકાનનો કબજો અપાવ્યો છે. ત્યારબાદ વૃદ્વાને કોઈ હેરાન ન કરે તે માટે મેં અને મારા સ્ટાફે તેમના ઘરે વિઝિટ પણ કરી હતી. ટૂંકમાં લોકો પોલીસની નજીક આવે અને એક સારું વાતાવરણ બને તેવા પ્રયાસ અમે કરી રહ્યા છે.

હાલમાં જ ગોંડલ તાલુકાના મૂંગા વાવડી ગામે રહેતા યુવાન દ્વારા ધંધાની જરૂરિયાત માટે જુદા-જુદા સમયે 5 વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. જેનું તેમને નિશ્ચિત કર્યા કરતા પણ વધુ વ્યાજ ચૂકવ્યું હોવા છતા પણ વારંવાર વ્યાજખોરો ગેરવર્તન કરી ધાકધમકી આપતા હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. તો જામજોધપુરના ફેબ્રિકેશનના એક ધંધાર્થીએ 2 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે.

થોડા દિવસ અગાઉ બનાસકાંઠાના લવાણા ગામના વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ હતી. લવાણા ગામના ગેરેજ માલિકે નવ મહિના અગાઉ 60 હજાર રૂપિયાના એક મહિનાનું 12,500 મુજબ ઉંચા વ્યાજ સાથે 1.85 લાખ રૂપિયા પરત કર્યા હતા. છતા 70,000 રુપિયા બાકી હોવાનું કહીને વ્યાજખોર ઉઘરાણી કરતો હોવાની ફરિયાદ નોંધાઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp