બોલો, ઈશાન કિશને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની ના પાડી દીધી

PC: hindi.cricketaddictor.com

વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશને દુલીપ ટ્રોફીમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો છે. પહેલા ટીમ ઈન્ડિયામાં પસંદગીનો આધાર ડોમેસ્ટિક ક્રિકેટ હતો, પરંતુ હવે ઈશાન કિશન જેવા ખેલાડી તેમાં ભાગ લેવા માંગતા નથી જે ચિંતાજનક છે. દુલીપ ટ્રોફી 28 જૂનથી 16 જુલાઈ સુધી યોજાશે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર પછી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી થોડા દિવસો માટે બ્રેક મળી ગયો છે. ભારતીય ટીમને હવે જુલાઈ મહિનામાં બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ T-20 મેચ માટે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કરવાનો છે.

વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પહેલા દુલીપ ટ્રોફીનું પણ આયોજન કરવામાં આવનાર છે. આ ટુર્નામેન્ટ નજીકના ભવિષ્યમાં ભારતીય ટેસ્ટ ટીમમાં પ્રવેશ કરવા માગતા ખેલાડીઓ માટે એક સરસ પ્લેટફોર્મ પૂરું પાડે છે. આશ્ચર્યની વાત એ છે કે, વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશને આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવાની ના પાડી દીધી હતી. ઈશાનને ઈસ્ટ ઝોનની પસંદગીકારો ટીમમાં સામેલ કરવા ઇચ્છતા હતા, પરંતુ તેણે આ ટૂર્નામેન્ટમાં રસ દાખવ્યો ન હતો.

પૂર્વ ક્ષેત્રની પસંદગી સમિતિના એક સભ્યએ મીડિયા સૂત્રોને જણાવ્યું કે, 'ઈશાન કિશન WTC ફાઈનલ માટે ભારતીય ટીમમાં હતો. જો કે KS ભરતની પ્લેઈંગ ઈલેવનમાં પસંદગી થઈ હતી અને તે સાઉથ ઝોન માટે રમે છે. અમે પ્રાદેશિક પસંદગી સમિતિના સંયોજક દેબાશિષ ચક્રવર્તીને પૂછ્યું હતું કે, શું અમે ઈશાનને પસંદ કરી શકીએ છીએ.

તેણે કહ્યું, 'તે ભારત માટે સીમિત ઓવરોમાં સતત રમી રહ્યો છે, આવી સ્થિતિમાં તેને કેપ્ટનશિપ મળી ગઈ હોત. ઈશાન કિશને ફોન પર ચક્રવર્તીને કહ્યું કે તે દુલીપ ટ્રોફી રમવા માંગતો નથી. તેને ઈજા થઈ છે કે નહીં તે જણાવવામાં આવ્યું નથી. તેણે માત્ર એટલું જ કહ્યું કે, તે રમવા માંગતો નથી.'

ટીમ ઈન્ડિયામાં પસંદગીનો આધાર પહેલા ડોમેસ્ટિક ક્રિકેટ હતો, પરંતુ હવે ઈશાન કિશન જેવા ખેલાડી તેમાં ભાગ લેવા માંગતા નથી, જે ખૂબ જ ચિંતાનો વિષય છે. સ્થાનિક ક્રિકેટ દ્વારા જ ખેલાડીનો ટેકનિકલી વિકાસ થાય છે. અહીં તમને જણાવી દઈએ કે, દુલીપ ટ્રોફી 28 જૂનથી 16 જુલાઈ સુધી યોજાશે.

ઈશાન કિશન WTC ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાનો ભાગ હતો, પરંતુ તેને પ્લેઈંગ-11માં જગ્યા મળી ન હતી. ઇશાન કિશન કરતાં વધારે KS ભરતને પસંદ કરવામાં આવ્યો હતો. જો કે ભરતનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નહોતું, ત્યારપછી ઈશાન કિશનને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર તક આપવાની માંગ થઈ રહી છે.

ઈશાને ના પાડ્યા બાદ પસંદગીકારોએ રિદ્ધિમાન સાહાનો સંપર્ક કર્યો, પરંતુ સાહાએ કહ્યું કે, દુલીપ ટ્રોફી એવા લોકો માટે છે, જેમને ભારતીય ટીમમાં તક મળી શકે છે. આવી સ્થિતિમાં અભિષેક પોરેલની પસંદગી કરવામાં આવી હતી. ઈશાનની ગેરહાજરીમાં ઈન્ડિયા-એના કેપ્ટન અભિમન્યુ ઈશ્વરન ઈસ્ટ ઝોનની કેપ્ટનશીપ કરશે અને સ્પિનર શાહબાઝ નદીમ તેના ડેપ્યુટી હશે.

પૂર્વ ઝોનની ટીમઃ અભિમન્યુ ઈસ્વરન (કેપ્ટન), શાંતનુ મિશ્રા, સુદીપ ઘરામી, રિયાન પરાગ, અનુસ્તુપ મજુમદાર, બિપિન સૌરભ, અભિષેક પોરેલ (વિકેટકીપર), K. કુશાગરા (વિકેટ-કીપર), શાહબાઝ નદીમ (વાઈસ-કેપ્ટન), શાહબાઝ અહેમદ, મુકેશ કુમાર, આકાશ દીપ, અનુકુલ રોય, M. મુરા સિંહ, ઈશાન પોરેલ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp