સરફરાઝની અવગણના થતા ગાવસ્કરે કહ્યું- પાતળા છોકરા જોતા હોય તો મોડલને પસંદ કરો

PC: hindi.cricketaddictor.com

પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે સરફરાઝ ખાનની અવગણના કરવા બદલ ચેતન શર્માની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિની આકરી ઝાટકણી કાઢી છે. સરફરાઝ ખાન છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. દિલ્હી સામેની રણજી ટ્રોફી મેચમાં સરફરાઝ ખાને દિલ્હી સામે પ્રથમ દાવમાં પણ સદી ફટકારી હતી.

સરફરાઝ ખાનની ટીમમાં પસંદગી ન થવાથી ઘણા વર્તમાન અને પૂર્વ ખેલાડીઓ નારાજ છે. સરફરાઝ ખાને ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા છે. હવે ગાવસ્કરે ફોર્મમાં રહેલા સરફરાઝનું સમર્થન કર્યું છે. તેણે પસંદગીકારોને સલાહ આપી છે કે, જો તેઓ પાતળા છોકરાઓ શોધવા માંગતા હોય તો મોડલને પસંદ કરે.

સૂત્રો સાથે વાત કરતાં ગાવસ્કરે કહ્યું, 'જ્યારે સરફરાઝ ખાન સદી ફટકારી રહ્યો છે, ત્યાર પછી તે મેદાનની બહાર બેસી નથી રહેતો, તે ફિલ્ડિંગ કરવા પણ આવે છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે, તે ફિટ છે. જો તમારે સ્લિમ અને દુર્બળ છોકરાઓ જોઈતા હોય તો તમે ફેશન શોમાં જઈને અમુક મોડલ્સ પસંદ કરી શકો છો. તેમના હાથમાં બેટ અને બોલ આપી દો અને તેમને ટીમમાં સામેલ કરો. તમારી પાસે તમામ આકાર અને દરેક સાઈઝના ક્રિકેટરો ઉપલબ્ધ છે. શરીરની સાઈઝને ન જુઓ, રન અને વિકેટથી તેને પસંદ કરો.

ગાવસ્કરે કહ્યું, 'જો તમે અનફિટ છો, તો તમે સદી ફટકારી શકશો નહીં. એટલા માટે ક્રિકેટ ફિટનેસ સૌથી મહત્વપૂર્ણ છે. તમે યો-યો ટેસ્ટ કરવા માંગો છો કે ગમે તે હોય એમાં મને કોઈ વાંધો નથી, પરંતુ યો-યો ટેસ્ટ એકમાત્ર માપદંડ ન હોઈ શકે. તમારે ખાતરી કરવી પડશે કે, વ્યક્તિ ક્રિકેટ માટે પણ યોગ્ય છે, અને જો તે વ્યક્તિ, ગમે તે હોય, ક્રિકેટ માટે યોગ્ય છે, તો મને નથી લાગતું કે તે ખરેખર મહત્વનું છે.'

અહીં તમને યાદ અપાવી દઈએ કે, સરફરાઝ ખાને તાજેતરમાં સ્વીકાર્યું હતું કે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટમાં તેની પસંદગી ન થતાં તે ખૂબ રડ્યો હતો. સૂત્રોએ ખાનને ટાંકીને કહ્યું, 'જ્યારે ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે મારું નામ ત્યાં નહોતું. હું આખો દિવસ ઉદાસ હતો. અમે ગુવાહાટીથી દિલ્હી જઈ રહ્યા હતા. હું ખૂબ જ એકલતા અનુભવી રહ્યો હતો. હું રડ્યો પણ. મેં મારા પિતા સાથે દિલ્હીમાં વાત કરી. તેમણે મારી સાથે વાત કરી. મેં તેમની સાથે પ્રેક્ટિસ કરી અને પછી સારું લાગ્યું.'

મુંબઈના સ્ટાર બેટ્સમેન સરફરાઝ ખાને તાજેતરમાં રણજી ટ્રોફીની આ સિઝનમાં દિલ્હી સામે તેની ત્રીજી ફર્સ્ટ ક્લાસ સદી ફટકારી છે. તેણે 155 બોલમાં 125 રન બનાવ્યા જેમાં 16 ફોર અને 4 સિક્સ સામેલ હતી. ઘણા ચાહકો અને ભૂતપૂર્વ ક્રિકેટરો ચેતન શર્માની આગેવાની હેઠળની પસંદગી સમિતિથી નારાજ હતા જ્યારે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટ માટે સરફરાઝ ખાન કરતાં સૂર્યકુમાર યાદવને પસંદ કરવામાં આવ્યો હતો.

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ચાર મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે પ્રથમ બે ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય પસંદગીકારો સમયસર બાકીની બે ટેસ્ટ માટે પણ ટીમની જાહેરાત કરશે. હવે સરફરાઝ ખાનને તક મળશે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp