ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ હવે આ તારીખે યોજાશે, નવરાત્રિના કારણે તારીખ બદલાઈ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની તારીખ બદલાઈ શકે છે. હકીકતમાં સુરક્ષા એજન્સીઓએ નવરાત્રીનો તહેવાર હોવાને કારણે BCCIને તારીખ બદલવા માટે સાવચેત કરી દીધું છે. એક સૂત્રએ જણાવ્યું કે, એજન્સીઓએ અમને આ અંગે જાણ કરી છે અને અમે ચર્ચા કરી રહ્યા છીએ, ટૂંક સમયમાં જ નિર્ણય લઈશું.
ICCએ આ મેચ નવરાત્રિના પહેલા દિવસે નક્કી કરી હતી. આ દિવસે સમગ્ર ગુજરાતમાં ગરબા ઉજવવામાં આવે છે. સુરક્ષાના કારણોસર BCCIને મેચના શેડ્યૂલ પર પુનર્વિચાર કરવાની સલાહ આપવામાં આવી છે. જો મેચોની તારીખો બદલવામાં આવશે તો તે તમામ ચાહકો માટે ઝટકા સમાન હશે કે, જેમણે પહેલાથી જ પ્રવાસનો પ્લાન બનાવી લીધો છે, ઘણા લોકોએ ક્રિકેટ મેચની ટિકિટ પહેલેથી જ બુક કરાવી લીધી છે. મીડિયા રિપોર્ટ્સમાં ખુલાસો થયો છે કે, હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે મેચ યોજાઈ શકે છે.
સૂત્રે કહ્યું કે, આ સરળ કામ નથી, કોઈપણ મેચ પાછળ ઘણી બધી બાબતો જોડાયેલી હોય છે. એટલા માટે દરેક વસ્તુનું ધ્યાન રાખવું પડશે. આ અંગે આખરી ચર્ચા કર્યા પછી જ પ્રતિભાવ આપવામાં આવશે. જો જરૂર પડશે તો, સુરક્ષાને ધ્યાનમાં રાખીને તારીખ બદલવાની સ્થિતિ હશે ત્યારે જ આવું કરવામાં આવશે.
ભારત ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ વખત સમગ્ર વિશ્વ કપનું આયોજન કરી રહ્યું છે. વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન યોજાશે. જેની ઘણી આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.
ભારતીય ટીમ તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં રમશે. જ્યારે, પાકિસ્તાનની ટીમ તેની પ્રથમ મેચ ક્વોલિફાયર 1 ટીમ સામે 6 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમશે. આ ગ્રાઉન્ડ પર 5 ઓક્ટોબરે ટૂર્નામેન્ટની શરૂઆત અગાઉની વિજેતા ઈંગ્લેન્ડ અને ઉપવિજેતા ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચથી થશે. પ્રથમ સેમિફાઇનલ 15 નવેમ્બરે મુંબઈમાં અને બીજી બીજા દિવસે કોલકાતામાં રમાશે. બંને સેમિફાઇનલમાં રિઝર્વ ડે રહેશે.
ફાઇનલ મેચ અમદાવાદમાં 19 નવેમ્બરે યોજાશે જ્યારે 20 નવેમ્બર રિઝર્વ ડે હશે. ત્રણેય નોકઆઉટ મેચો ડે-નાઈટ રહેશે. ભારત 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં પાંચ વખતના વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલિયા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. વર્લ્ડ કપમાં 10 ટીમો ભાગ લેશે. પાકિસ્તાન 20 ઓક્ટોબરે બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે જ્યારે બીજા દિવસે મુંબઈમાં ઈંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. ભારત અને ન્યુઝીલેન્ડ 22 ઓક્ટોબરે ધર્મશાલામાં ટકરાશે.
ભારતીય ટીમનું વર્લ્ડ કપનું સમયપત્રક: 8 ઑક્ટોબર-ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ-ચેન્નાઈમાં, 11 ઑક્ટોબર-અફઘાનિસ્તાન વિરુદ્ધ-દિલ્હીમાં, 15 ઑક્ટોબર-પાકિસ્તાન વિરુદ્ધ-અમદાવાદમાં, 19 ઑક્ટોબર-બાંગ્લાદેશ વિરુદ્ધ-પૂણેમાં, 22 ઑક્ટોબર-ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ-ધર્મશાલામાં, 29 ઑક્ટોબર-ઈંગ્લેન્ડ વિરુદ્ધ-લખનઉમાં, 2 નવેમ્બર-નેધરલેન્ડ્સ વિરુદ્ધ-મુંબઈમાં, 5 નવેમ્બર-દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ-કોલકાતામાં, 11 નવેમ્બર-શ્રીલંકા વિરુદ્ધ-બેંગલુરુમાં.
પાકિસ્તાન ટીમનું વર્લ્ડ કપ સમયપત્રક: 6 ઓક્ટોબર-શ્રીલંકા વિરુદ્ધ-હૈદરાબાદમાં, 12 ઓક્ટોબર- નેધરલેન્ડ વિરુદ્ધ-હૈદરાબાદમાં, 15 ઓક્ટોબર-ભારત વિરુદ્ધ-અમદાવાદમાં, 20 ઓક્ટોબર-ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ-બેંગલુરુમાં, 23 ઓક્ટોબર-અફઘાનિસ્તાન વિરુદ્ધ-ચેન્નાઈમાં, 27 ઓક્ટોબર-દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ-ચેન્નાઈમાં, 31 ઓક્ટોબર-બાંગ્લાદેશ વિરુદ્ધ-કોલકાતામાં, 4 નવેમ્બર-ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ-બેંગલુરુમાં, 12 નવેમ્બર-ઈંગ્લેન્ડ વિરુદ્ધ-કોલકાતામાં.
પ્રથમ સેમિફાઇનલ 15 નવેમ્બર બુધવારે મુંબઈમાં અને બીજી સેમિફાઇનલ બીજા દિવસે કોલકાતામાં યોજાશે. બંને સેમિફાઇનલમાં એક રિઝર્વ ડે હશે. ફાઇનલ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે અને 20 નવેમ્બરના રોજ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. ત્રણેય નોક-આઉટ મેચો ડે-નાઇટ મેચ હશે. સ્થાનિક સમય મુજબ બપોરે 2:00 વાગ્યે શરૂ થશે.
વર્લ્ડ કપ દરમિયાન નિર્ધારિત કરેલા કુલ 10 સ્થળો હશે. આ છે હૈદરાબાદ, અમદાવાદ, ધર્મશાલા, દિલ્હી, ચેન્નાઈ, લખનઉ, પુણે, બેંગલુરુ, મુંબઈ અને કોલકાતા. હૈદરાબાદ ઉપરાંત ગુવાહાટી અને તિરુવનંતપુરમ 29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી પ્રેક્ટિસ મેચની યજમાની કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp