ગાવસ્કરના મતે ટીમ સિલેક્શનમાં આ ખેલાડીને 'બલિનો બકરો' બનાવવામાં આવ્યો

PC: livehindustan.com

વિન્ડીઝ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી માટે 23 જૂન (શુક્રવાર)ના રોજ ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ટીમની કપ્તાની રોહિત શર્માના હાથમાં જ રહેશે. આ સાથે જ મિડલ ઓર્ડર બેટ્સમેન અજિંક્ય રહાણેને વાઇસ કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી છે. અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાનો 16 સભ્યોની ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.

35 વર્ષીય પૂજારાનો ટીમમાં સમાવેશ ન કરવો ચર્ચાનો વિષય બન્યો છે. દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે પસંદગીકારોના નિર્ણયની ટીકા કરી છે. ચેતેશ્વર પૂજારાને અગાઉ 2022ના દક્ષિણ આફ્રિકા પ્રવાસ પછી પણ ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. જો કે, કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સસેક્સ માટે શાનદાર પ્રદર્શન બાદ તે ફરીથી ભારતીય ટીમમાં પાછો ફર્યો.

ગાવસ્કરે મીડિયા સૂત્રોને કહ્યું, 'પૂજારાને કેમ પડતો મૂકવામાં આવ્યો? શા માટે તેને અન્ય બેટ્સમેનોની નિષ્ફળતા માટે બલિનો બકરો બનાવવામાં આવ્યો છે? તે ભારતીય ક્રિકેટનો વફાદાર અને શાંત ખેલાડી છે. તફાવત એ છે કે અન્ય ખેલાડીઓની જેમ, તેના લાખો ફોલોઅર્સ નથી, જે તેની તરફેણમાં અવાજ ઉઠાવી શકે. આ મારી સમજની બહાર છે. તેમને ડ્રોપ કરીને બાકીનાને ટીમમાં રાખવાનો માપદંડ શું છે? હું આ વિશે જાણતો નથી, કારણ કે આજકાલ સિલેક્ટર મીડિયા સાથે કોઈ વાતચીત કરતા નથી.'

સુનીલ ગાવસ્કરે કહ્યું કે, ચેતેશ્વર પૂજારાને માત્ર તેની ઉંમરના કારણે ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર ન કરવો જોઈએ. ગાવસ્કર માને છે કે, પુજારા એકમાત્ર એવો બેટ્સમેન નહોતો જે ઓસ્ટ્રેલિયા સામે WTC ફાઇનલમાં મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો હતો. ટીમના ટોપ-4 બેટ્સમેનો પ્રથમ દાવમાં માત્ર 71 રનમાં આઉટ થઈ ગયા હતા. પૂજારાએ 14 અને 27 રન બનાવ્યા હતા, પરંતુ તે એકલો ન હતો જેણે સંઘર્ષ કરવો પડ્યો હોય. આ મેચમાં 50થી વધુ રન બનાવનાર એકમાત્ર ભારતીય બેટ્સમેન અજિંક્ય રહાણે હતો.

ગાવસ્કર કહે છે, 'તે કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો છે, જેનો અર્થ છે કે તેણે ઘણી બધી લાલ-બોલની ક્રિકેટ રમી છે. આજે ખેલાડીઓ 39-40 વર્ષની ઉંમર સુધી રમી શકે છે અને જ્યાં સુધી તમે રન બનાવી રહ્યા હોવ ત્યાં સુધી તમે રમી શકો છો. મને નથી લાગતું કે ઉંમર એક પરિબળ હોવી જોઈએ. અજિંક્ય રહાણે સિવાય ભારતની બેટિંગ સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી. પસંદગીકારોએ જણાવવું પડશે કે, શા માટે પુજારા પર જ નિષ્ફળતાનો ટોપલો શા માટે ફેંકવામાં આવ્યો.'

આમ જોવા જઈએ તો, ચેતેશ્વર પુજારાની છેલ્લી 28 ટેસ્ટમાં એવરેજ માત્ર 29.69 રહી છે. આ દરમિયાન તેણે 1 સદી અને 11 અડધી સદી ફટકારી હતી. ક્રિકેટ વિશ્લેષકોનું માનવું છે કે, પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સામેલ યશસ્વી જયસ્વાલ વિન્ડીઝ સામે નંબર-3 પોઝિશન પર બેટિંગ કરવા ઉતરી શકે છે.

ટેસ્ટ ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), KS ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), R.K. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની.

ટીમ ઈન્ડિયાના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસનું સમયપત્રક: 1લી ટેસ્ટ- 12 થી 16 જુલાઈ, ડોમિનિકા, બીજી ટેસ્ટ- 20 થી 24 જુલાઈ, પોર્ટ ઓફ સ્પેન, 1લી ODI- 27 જુલાઈ, બ્રિજટાઉન, બીજી ODI- 29 જુલાઈ, બ્રિજટાઉન, ત્રીજી ODI- 1 ઓગસ્ટ, પોર્ટ ઓફ સ્પેન, 1લી T20- 3 ઓગસ્ટ, પોર્ટ ઓફ સ્પેન, બીજી T20- 6 ઓગસ્ટ, ગુયાના, 3જી T20- 8 ઓગસ્ટ, ગુયાના, 4થી T20- 12 ઓગસ્ટ, ફ્લોરિડા, 5મી T20- 13 ઓગસ્ટ, ફ્લોરિડા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp