શંકર મિશ્રાએ કોર્ટમાં કહ્યું- ફ્લાઇટમાં પેશાબ મેં નહોતો કર્યો, એ મહિલાએ જ કરેલો

PC: zeenews.india.com

દુનિયાભરમાં ચર્ચામાં આવેલી ફ્લાઇટમાં પેશાબની ઘટનામાં હવે ટ્વીસ્ટ આવી ગયું છે. ફ્લાઇટમાં પેશાબના આરોપમાં ધરપકડ કરાયેલા શંકર મિશ્રાએ કોર્ટમાં કહ્યું હતું કે, ફ્લાઇટમાં પેશાબ મેં નહોતો કર્યો, પરંતુ જે મહિલાએ ફરિયાદ કરી છે તેણે જ પેશાબ કરેલો.

થોડા દિવસો પહેલાં ન્યૂયોર્કથી દિલ્હી આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક મહિલાએ એવી ફરિયાદ કરી હતી  કે એક સાથી મુસાફરે તેની સીટ પર પેશાબ કર્યો હતો. આ ઘટનાના દુનિયભરમાં પડઘા પડ્યા હતા અને પોલીસે બેંગલુરુથી શંકર મિશ્રા નામના વ્યકિતની ધરપકડ કરી હતી.

દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટમાં શંકર મિશ્રાના વકીલે દાવો કર્યો કે બુઝુર્ગ મહિલાએ આરોગ્યની સમસ્યાને કારણે પોતે જ પેશાબ કરી લીધો હતો. વકીલે કોર્ટને કહ્યું હતું કે, મહિલા 30 વર્ષ સુધી ભરત નાટ્યમની ડાન્સર રહી છે અને ભરક નાટ્યમના ડાન્સરમાં પેશાબ સંબંધી મુશ્કેલીઓ એ સામાન્ય બાબત છે.. દિલ્હી પોલીસે શંકર મિશ્રાની પુછપરછ માટે કસ્ટડીની માંગ કરી હતી જેનો મિશ્રાના વકીલે જવાબ આપ્યો હતો.

પતિયાલા હાઉસ કોર્ટમાં શંકર મિશ્રાની કસ્ટડીની માંગ સાથે દિલ્હી પોલીસે કરેલી અરજી પર શુક્રવારે સુનાવણી થઇ હતી. પોલીસે કહ્યુ કે, ઘટના સમય અને તે પહેલાંના શંકર મિશ્રાના આચરણને જોવો પડશે. પોલીસના બોલવવા છતા શંકર મિશ્રા હાજર નહોતો રહ્યો. તે ક્યાં ગયો હતો? કોને મળ્યો હતો? એ પણ અમારે જાણવું પડશે. પોલીસે કોર્ટને કહ્યુ કે આખી ઘટનાના તાર જોડીને અમારે ઘટનાને એસ્ટાબ્લિશ કરવાની છે.

પોલીસે 7 જાન્યુઆરીએ બેંગલુરથી આરોપી શંકર મિશ્રાની ધરપકડ કરી હતી. ઘટનાન 42 દિવસ પછી મિશ્રાની ધરપકડ થઇ હતી. મુંબઇનો રહેવાસી શંકર મિશ્રા ઘટના વાયુવેગે પ્રસરી ગયા બાદ ફરાર હતો. એ પછી પોલીસે લૂક આઉટ નોટીસ જારી કરી હતી. પણ લોકેશનના આધારે મિશ્રાને પકડી લેવામાં આવ્યો હતો.

મહિલા યાત્રીએ પોતાની ફરિયાદમાં લખ્યું હતું કે, હું ફ્લાઇટ AI102 પર મારી બિઝનેસ ક્લાસ મુસાફરી દરમિયાન બનેલી ભયાનક ઘટના વિશે મારી નિરાશા વ્યકત કરવા લખી રહી છું. આ મારી જિંદગીની સૌથી ખરાબ મુસાફરી હતી. ઉડાન દરમિયાન, બપોરે લંચ સમય પછી લાઇટ બંધ કરી દેવામાં આવી હતી અને હું સુવા માટેની તૈયારી કરી રહી હતી, તે વખતે નશામાં ધૂત એક યાત્રીએ મારી સીટ પર પેશાબ કરી દીધો હતો.

અન્ય યાત્રીઓ એ વ્યકિતને દુર કરવાની પણ કોશિશ કરી હતી, પરંતુ તે માન્યો નહોતો. મહિલાએ કહ્યું કે, ક્રુ મેમ્બર્સનો વર્તન અસંવેદનશીલ હતું. તેમણે યાત્રી સામે કાર્યવાહી કરવાને બદલે મને માત્ર કપડાં બદલવા આપી દીધા હતા.

એર ઈન્ડિયામાં મહિલા સાથે ગેરવર્તણૂકના મામલામાં DGCA કડક વલણ દાખવી રહ્યું છે. એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે એરલાઈને સમયસર કોઈ પગલાં લીધાં નથી અને જ્યારે DGCAએ પ્રશ્નો પૂછ્યા ત્યારે આ બાબતની જાણ કરવામાં આવી હતી. આ કારણોસર DGCAએ કારણ બતાવો નોટિસ જારી કરી છે.

કોર્ટે કહ્યુ કે,તમે તમારી ફરજ યોગ્ય રીતે નિભાવી નથી, પરંતુ તેમ છતાં ન્યાયિક પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, તમને જવાબ આપવા માટે બે અઠવાડિયાનો સમય આપવામાં આવશે. તેના આધારે જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp