શાહબાઝ આપી શકે છે રાજીનામુ, હવે કોણ- નેશનલ, ટેક્નોક્રેટ કે સૈન્ય હૂકુમત?

PC: india.com

પાકિસ્તાન પર વિદેશી દેવુ 100 અબજ ડૉલર થઈ ગયુ છે. મોંઘવારી દર 40 ટકાની આસપાસ થઈ ગયો છે. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) દેવાનો હપ્તો જાહેર કરવા તૈયાર નથી. ચીને ગુપ્ત શરતો પર 700 મિલિયન ડૉલર દેવા તરીકે આપ્યા અને પાકિસ્તાનને દેવાળીયુ થવાથી થોડાં વધુ દિવસ માટે બચાવી લીધુ. હવે, સમાચાર એવા છે કે શાહબાઝ શરીફ ખુરશી છોડી શકે છે. દરમિયાન, ફરી એક ચર્ચા જોર પકડી રહી છે કે દેશને આ મુશ્કેલીઓમાંથી આખરે કઈ રીતે બહાર કાઢવામાં આવે. ત્રણ વિકલ્પ ગણાવવામાં આવી રહ્યા છે. પહેલું- નેશનલ ગવર્નમેન્ટ, બીજું- ટેક્નોક્રેટ ગવર્નમેન્ટ અને ત્રીજું- માર્શલ લૉ એટલે કે લશ્કરની હૂકુમત. આ ત્રણેય વિકલ્પો વિશે અહીં વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.

પહેલા જાણો, આ વિકલ્પો પર ચર્ચા શા માટે થઈ રહી છે...

તેનું સૌથી મોટું કારણ રાજકીય અસ્થિરતા છે. પાકિસ્તાનને બન્યાને 76 વર્ષ થઈ ચુક્યા છે પરંતુ, આજ સુધી કોઈ ડેમોક્રેટિક ગવર્નમેન્ટ એટલે કે લોકો દ્વારા પસંદ કરવામાં આવેલી સરકાર 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ નથી કરી શકી. અડધા કરતા વધુ સમય સૈન્ય હૂકુમત સત્તા પર રહી.

દેશ દેવાના દલદલમાં ગળા સુધી ફસાયેલો છે. IMF, વર્લ્ડ બેંક કે પછી એશિયન ડેવલપમેન્ટ બેંક નવુ દેવુ આપવા માટે તૈયાર નથી. સાઉદી અરબ અને UAE જેવા મુસ્લિમ દેશોનું કહેવુ છે કે, તેઓ નવુ દેવુ ત્યારે જ આપશે, જ્યારે IMFનો પ્લાન લાગૂ થશે.

IMFનું કહેવુ છે કે, તેને દેવાનો પહેલો હપ્તો (1.2 અબજ ડૉલર) આપતા પહેલા પોલિટિકલ ગેરેંટી પણ જોઈએ. પોલિટિકલ ગેરેંટીનો મતલબ છે કે જો, થોડાં સમય બાદ નવી સરકાર આવશે તો તે પણ IMFની દરેક શરત માનશે.

આ બધી મુશ્કેલીઓ વચ્ચે સૌથી મોટી તાકાત લશ્કર ચૂપ છે. પૂર્વ આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ ગત વર્ષે એપ્રિલમાં સ્પષ્ટ કરી દીધુ હતું કે આર્મી હવે રાજકારણમાં કોઈ દખલઅંદાજી નહીં કરશે.

ભલે દેખાડા માટે હોય પરંતુ, હાલ નવા આર્મી ચીફ જનરલ આસિમ મુનીર પણ રાજકારણથી દૂર છે. ISI ચીફ નદીમ અહમદ અંજુમ કે તેના ઓફિસર પણ કોઈ સાંસદ કે મંત્રીને ફોન પર ધમકાવી નથી રહ્યા.

એક તરફ તમામ પાર્ટીઓ, બીજી તરફ ઈમરાન

ઇમરાન ખાન આશરે સાડા ત્રણ વર્ષ વડાપ્રધાન રહ્યા. 2018માં સૈન્ય જ તેમને સત્તામાં લાવ્યું હતું, એપ્રિલ 2022માં તેણે જ ખાનને બહાર કર્યા. નદીમ મલિક જેવા પાકિસ્તાનના સીનિયર જર્નાલિસ્ટ માને છે કે, સૈન્ય નવાઝ-શાહબાઝ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ (PMLN) અને આસિફ અલી ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) જેવી પાર્ટીઓનો વિકલ્પ ઈચ્છે છે.

સૈન્યએ ઇમરાન ખાન પર દાંવ લગાવ્યો. ઇમરાને પાકિસ્તાનને 1992માં વનડે વર્લ્ડ કપ જીતાડ્યો હતો. તેઓ યુવાનોમાં લોકપ્રિય હતા. ISIના ત્યારના ચીફ ઝહીર-ઉલ-ઇસ્લામે ખાનને પ્રમોટ કરવાની સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી.

PMLN અને PPPના ઘણા મોટા નેતાઓને ઇમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)માં સામેલ કરવામાં આવ્યા. ઓગસ્ટ 2018માં ખાન વડાપ્રધાન બન્યા. એપ્રિલ 2022માં ત્યાં સુધી ખુરશી પર રહ્યા, જ્યાં સુધી સૈન્યએ હાથ ના ખેંચી લીધા.

ત્યારબાદ PPP અને PMLN સહિત 13 પાર્ટીઓએ પાકિસ્તાન ડેમોક્રેટિક ફ્રન્ટ (PDM) બનાવ્યો અને સત્તામાં આવી ગયા. શાહબાઝ શરીફ વડાપ્રધાન બન્યા. હવે ઇમરાન આ સરકારને હેરાન કરી રહ્યા છે. તેમને કોર્ટ તરફથી છૂટ મળી રહી છે.

શું ઈચ્છે છે પાક.ની મોટી પાર્ટીઓ

PTI (ઇમરાનની પાર્ટી)

માત્ર સૈન્ય સાથે વાત કરવા માંગે છે. ઇમરાન આર્મીના ખોળામાં બેસીને ફરી વડાપ્રધાન બનવા ઈચ્છે છે. સૈન્ય તૈયાર નથી.

PMLN (નવાઝ-શાહબાઝની પાર્ટી)

સુપ્રીમ કોર્ટના જજોના નામ લઈને તેમને કરપ્ટ અને ઇમરાનને મોહરો ગણાવી રહી છે. નવાઝને ફરી PM બનાવવા માંગે છે.

PPP (આસિફ અલી ઝરદારીની પાર્ટી)

બિલાવલ ભુટ્ટોને વડાપ્રધાન બનાવવા માંગે છે. ઝરદારી તક જોઈને પક્ષ બદલવામાં હોંશિયાર છે.

ત્રણેય વિકલ્પો પર ચર્ચા શા માટે?

નેશનલ ગવર્નમેન્ટ, ટેક્નોક્રેટ ગવર્નમેન્ટ અથવા માર્શલ લૉના વિકલ્પો પર ચર્ચા થઈ રહી છે. ચર્ચાની શરૂઆત ડિસેમ્બર 2022માં થઈ હતી. ઇમરાનની પાર્ટીના મોટા નેતા અસદ કૈસરે પ્રેસ કોન્ફરન્સમાં આ ત્રણ વિકલ્પો રજૂ કર્યા હતા. નવાઝ અને ઝરદારીની પાર્ટીના કેટલાક નેતાઓએ તેનું સમર્થન કર્યું. ત્યારબાદ ધ ડૉન અખબારમાં તેના પર એડિટોરિયલ આવ્યો. પછી ટીવી ચેનલો પર ચર્ચા થવા માંડી.

થોડાં દિવસ પહેલા પૂર્વ નાણા મંત્રી મિફ્તાહ ઇસ્માઇલે ફરી આ વિકલ્પોનું સમર્થન કર્યું. કહ્યું- દેશને મુશ્કેલીઓમાં બહાર કાઢવાનો છે તો આ ત્રણ વિકલ્પોમાંથી કોઈને અજમાવવો પડશે અને તેના પર ખૂબ જ ઈમાનદારીથી કામ કરવું પડશે. ત્યારે જ આપણે પાકિસ્તાનને બચાવી શકીશું.

સાર્વજનિકરીતે તો ઇમરાન ખાનની પાર્ટી આ ત્રણ વિકલ્પોનું સમર્થન નથી કરતી પરંતુ, જિયો ન્યૂઝના સુત્રોના હવાલાથી કહ્યું- ઇમરાન પણ જાણે છે કે આ પરિસ્થિતિમાં જો તેઓ ફરી PM બની પણ ગયા તો દેવાળીયા દેશની સરકાર નહીં ચાલી શકશે. તેમને પોતાની પોપ્યુલારિટી પર પણ વિશ્વાસ છે. આથી, તેઓ ઈચ્છે છે કે જો ત્રણમાંથી કોઈપણ સરકાર બને તો તેનો માત્ર દેખાડા માટે વિરોધ કરવામાં આવશે. 

ચૂંટણી કરાવવા માટે પૈસા નથી

100 અબજ ડૉલરના દેવા હેઠળ દબાયેલા પાકિસ્તાનના ઈલેક્શન કમિશને સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, બે રાજ્યો (ખૈબર પખ્તૂનખ્વા અને પંજાબ)ની વિધાનસભાઓની ચૂંટણી કરાવવી મુશ્કેલ છે.

તેણે એ પણ જણાવ્યું કે, નેશનલ અસેમ્બલી (સંસદ)માંથી ઇમરાનની પાર્ટીના તમામ સાંસદ રાજીનામુ આપી ચુક્યા છે.

ઈલેક્શન કમિશને કહ્યું- જો અમે બે રાજ્યોમાં વિધાનસભા અને નેશનલ અસેમ્બલી માટે પેટા ચૂંટણી કરાવીએ તો 100 કરોડ રૂપિયા ખર્ચ થશે. આ ફંડ સરકારે આપવાનું છે અને તેની પાસે તે ફંડ નથી. આથી, ચૂંટણી ના કરાવી શકાય.

પાકિસ્તાનમાં ચૂંટણી સપ્ટેમ્બરમાં શિડ્યૂલ છે. પરંતુ, લાગે છે કે શાહબાઝ શરીફ સરકાર તેને કરાવવાનો પ્રયત્ન કરશે. તેનું કારણ આર્થિક સ્થિતિ તો છે જ, સાથે જ તે નથી ઈચ્છતી કે ઇમરાન કોઈપણ કિંમતે સત્તામાં ફરી આવે. ઇમરાનને રોકવા માટે બધી પાર્ટીઓ એક દેખાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp