- Agriculture
- મબલખ કમાણી આપતા કેસરના નામે ગુજરાતના ખેડૂતો સાથે છેતરપિંડી
મબલખ કમાણી આપતા કેસરના નામે ગુજરાતના ખેડૂતો સાથે છેતરપિંડી
કાશ્મિરમાં કેસરનું ઉત્પાદન 10 વર્ષમાં 50 ટકા ઘટી ગયું છે. તેથી ઈરાનથી કેસર આવે છે. કેસરનો ભાવ જોઈ ખેડૂતો તેનાથી લલચાય છે. લેભાગુ લોકો ગુજરાતના ખેડૂતોને કેસરની ખેતી માટે લલચાવે છે. પણ ગુજરાતમાં ક્યાંય કેસરની ખેતી શક્ય નથી. તે માટે દરિયાની સપાટીથી 1200 ફૂટ ઊંચા ખેતરમાં 10થી 20 ડિગ્રી તાપમાન હોવું જરૂરી છે. આવું તાપમાન ગુજરાતમાં નથી. તેથી ખેતી શક્ય નથી. તેમ છતાં હજારો ખેડૂતો અમેરિકન કસરની ખેતીના બહાને છેતરાયા છે.
કેસર ગુજરાતમાં નથી થતું
આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયના સંશોધન નિયામક ડૉ. કે. બી. કથીરીયા અને ડી. એચ. દૂધાતે જાહેર કર્યું છે કે ગુજરાતમાં કેસરની ખેતી કોઈ પણ રીતે થઈ શકતી નથી. કેસરની ખેતી ભારતમાં માત્ર કાશ્મીરમાં થાય છે. ગુજરાતની આબોહવા આ પાકની ખેતી માટે અનુકુળ નથી. આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયે કેસરની ખેતી માટે કોઈ ભલામણ કરી નથી. જે આર્થિક રીતે પરવડે નહીં.
ભાવનગરમાં ખરાઈ નથી
ભાવનગર જિલ્લાના ઘોઘાના ગામ ખાટડીમાં વિનુબાઈ ધનજીભાઈ મેમકીયાએ 1 હજાર અમેરિકન કેસરના છોડ વાવ્યા હોવાનો દાવો કર્યો હતો. તેને જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા કોઈ ખરાઈ થઈ નથી.
ગાંધીનગરના કલોલ તાલુકાના ખોરજ ડાભી ગામે 1 વીઘા જમીનમાં શંકર બળદેવ વાઘેલાએ અમેરિકન જાસ્મિન કેસર વાવ્યું હોવાની જાહેરાત થઈ હતી. મહેસાણાના બહુચરાજી નજીક દેથલી ગામ, સાબરકાંઠાના જેતપુર કંપા, ખેડાના સાખેજ ગામ, જૂનાગઢના માંગરોળના રૂદલપુરા ગામનો સમાવેશ થાય છે.
રાજસ્થાનમાં પણ અનેક ખેડૂતોએ કેસર ઉગાડ્યું હતું. પણ કોઈ એવા ખેડૂત નથી કે જેમણે બીજા વર્ષે પણ કેસરની ખેતી કરી હોય.
આણંદમાં પ્રયોગ
આણંદ ખાતે બાયોટેકનોલોજીના સંશોધન માટે કેસરમાં રંગ અને સુગંધને લગતા જનીનોની ઓળખ કરવા માટે ઉગાડવામાં આવે છે. જે બીજા અગત્યના પાકોમાં ગુણવત્તા સુધારણા માટે નિયંત્રિત વાતાવરણમાં સંશોધનના હેતુ કેસરના છોડ ઉછેરવામાં આવે છે. એરકન્ડિશન્ડ કેબિન, ગ્રીન હાઉસ, પોલી હાઉસના 10 ડિગ્રી વાતાવરણમાં આણંદમાં ઉગાડેલું પણ તે ખર્ચાળ છે. તેની ખેતી માટે તે પરવડે તેમ નથી. હરિયાણાના હિસારના કોઠકલા ગામમાં એક ખેડૂતે 15 ફૂટની જગ્યામાં એરોફોનિક પદ્ધતિથી રાતના 10 અને દિવસના 20 ડીગ્રી ઠંડામાં કેસર પેદા કરી બતાવ્યું છે. પણ તે ખૂબ મોંઘુ પડે છે.
કેસરના જનીન ગુજરાતના ફળમાં ઉમેરવા પ્રયોગો
જમ્મુ - કાશ્મીરમાં તાજેતરમાં ચોથા ઇન્ટરનેશનલ સેફ્રોન સિમ્પોઝીયમ યોજાયો હતો. આ સિમ્પોઝીયમમાં ડો.આર.એસ. ફોગાટ અને તેમની ટીમે ગુજરાતમાં કેસરના ફૂલો ખીલવવામાં મળેલી સફળતાને લગતું પેપર રજૂ કર્યુ હતું. કેસરના રંગ અને સુગંધ માટે જવાબદાર જીન્સને ગુજરાતમાં પાકતાં ફળ, અનાજ અને શાકભાજીમાં ઉમેરીને મૂલ્યવર્ધન (વેલ્યુએડિશન) કરવા માટે પ્રયોગો કરાયા છે. આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયના એગ્રોબાયો ટેકનોલોજી વિભાગના કૃષિ વૈજ્ઞાનિક ડો.આર.એસ.ફોગાટે રંગ અને સુગંધના દ્રવ્ય કેસર ઉગાડેલું છે. આણંદમાં કેસર પકવેલું તે ટ્રાન્સજિનિક માટે હતું. તેનો રંગ અને સુગંધના જીન્સને ગુજરાતમાં પાકતા ફળ, અનાજ, શાકભાજીમાં તે ઉમેરી શકાય તેમ છે કે કેમ તે માટે સંશોધન થઈ રહ્યું છે.
કેસરના નામે કસુંબી
ગુજરાત તથા રાજસ્થાનના કેટલાક ખેડૂતો કસુંબીને કેસર માની તેનું વાવેતર કરે છે. જે ખરેખર તેલીબિયા પાક છે. કેટલાક ખેડૂતો આ છોડને અસલી કેસરના પાકના નામે ભ્રમ ફેલાવે છે. 150 ફૂલોમાંથી 1 ગ્રામ કેસર બને છે. 1 કિલો કેસર માટે 1.50 લાખ ફૂલ જોઈએ. આવો પાક ગુજરાતમાં થાય નહીં. આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં કસુંબીની ખેતી થાય છે. જેના પીળા કે કેસરી ફૂલ આવે છે. કાશ્મીરના 129 ગામની જમીન પર જ કેસર થાય છે. ભારતમાં બીજે ક્યાંય થતું નથી.
કેસરનો છોડ કેવો હોય છે
કેસરની ગુણવત્તા અને કિંમત ત્રણ માર્કર કમ્પાઉન્ડ ક્રોસિન કે જે રંગ બનાવે છે. પીક્રોક્રોસિન કે જે સ્વાદ બનાવે છે. સફ્રાનલ તત્વ કે જે સુગંધ બનાવે છે. તે કેટલા પ્રમાણમાં છે તેના પર તેની કિંમત આધારિત છે. કેસરનો છોડ 20થી 30 સેન્ટીમિટર ઊંચો જાંબલી રંગના ફૂલ ધરાવતો છોડ છે. જમીનમાંથી ગાંઠોમાંથી નિકળે છે. આ છોડમાં પ્રકાશ સંશ્લેષણ થતું નથી. છોડમાં 5થી 11 સફેદ પાન હોય છે. કેસરનો છોડ બીજા છોડ કરતાં અલગ હોય છે. છોડનો વિકાસ થાય તે પહેલા ફૂલ આવે છે. જેમાં 12 મિ.મી. લાંબું સ્ત્રીકેસર નિકળે તે કેસર છે. જે પરાગવાહિની સાથે 62 મિ.મી. લાંબા હોય છે.
હિમાલચમાં પ્રયોગ
મિની અફઘાનીસ્તાન તરીકે જાણાતા ઝારખંડના ચતરાના સિમરિયાના ચલકી અને સેરંગદાગ ગામોમાં કેસર થવા લાગ્યું છે. તેથી કેસર પ્રોજેક્ટ પર હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયરોસોર્સ ટેક્નોલોજીનો હેતુ કાશ્મીર સિવાય અન્ય વિસ્તારોમાં કેસરની ખેતી કરવાનો છે. હિમાચલ પ્રદેશના કિન્નૌર, ચંબા, મંડી, કુલ્લુ અને કાંગરા જિલ્લામાં હમણાં જ કેસરની ખેતી શરૂ કરવામાં આવી છે. ખેતરો 5થી 8 હજાર ફૂટની ઊંચાઈએ તે થવા લાગ્યું છે. હિમાચલ પ્રદેશના કેટલાક જિલ્લાઓ કેસરના વાવેતર માટે વાતાવરણ સારું છે. એક વર્ષથી આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. પાયલોટ તરીકે કેસરનું બિયારણ 2.5 એકરમાં વાવવામાં આવ્યા હતા. ઘણાં ખેડૂતો એક વિઘામાં કેસરનું વાવેતર કર્યું છે. જડીબુટ્ટીઓનું વાવેતર કરતાં ખેડૂતો તેની ખેતી સારી રીતે સમજી શકે છે. તેથી ખેડૂતોને તાલીમ આપી રહ્યા છે.
100 ટનની માંગ સામે 5 ટન કાશ્મિરમાં પેદા થાય છે
IHBT મુજબ, કેસર શ્રીનગરના પંપોર અને જમ્મુ -કાશ્મીરના કિશ્તવાડમાં ઉગાડવામાં આવે છે. ભારતમાં દર વર્ષે 100 ટન કેસરની માંગ છે, પરંતુ હાલમાં 2,825 હેક્ટર વિસ્તારમાં ફક્ત 6.46 ટનનું ઉત્પાદન થાય છે. 2016-17માં 16.45 ટન કેસર થતું હતું. જે 2020-21માં 5.2 મેટ્રિક ટન થઈ ગયું છે. 1990માં 7 હજાર હેક્ટરમાં કેસરની ખેતી થતી હતી. 20 વર્ષમાં ખેતીમાં 50 ટકાનો ઘટાડો આવ્યો છે. ખેડૂતોએ જમીન વેચી દીધી છે. 2010માં 6 કરોડ ડોલરની સહાય યોજના સરકારે બનાવી હતી. તેનો કોઈ લાભ ન થયો. હવામાન પરિવર્તન પણ જવાબદાર છે. હિમવર્ષા 40 ટકા ઘટી છે. વિશ્વમાં, વાર્ષિક 300 ટન કેસર ઉત્પન્ન થાય છે, ઇરાન કેસરના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે, જ્યારે સ્પેન અને ભારત બીજા અને ત્રીજા સ્થાને છે.
કેસરની ખેતી સમુદ્રથી 1500-2800 મીટરના ઉંચાઈ વિસ્તારમાં થાય છે. જ્યાં શિયાળામાં બરફ પડે છે, આવા વાતાવરણ ફૂલો અને સારા ઉત્પાદન માટે મદદગાર સાબિત થાય છે. સપ્ટેમ્બરથી ઓક્ટોબર મહિનામાં કેસરના કંદ વાવવાનો યોગ્ય સમય છે. 1 ગ્રામ કેસરનો ભાવ રૂપિયા 500થી 1500 સુધી છે. વિશ્વના 90 ટકા કેસર ઈરાનમાં બને છે.

