- Central Gujarat
- અમદાવાદ: ઉત્તરવહી ગુમ થવાના કેસમાં ગુજરાત યુનિવર્સિટીના પટાવાળાની ધરપકડ
અમદાવાદ: ઉત્તરવહી ગુમ થવાના કેસમાં ગુજરાત યુનિવર્સિટીના પટાવાળાની ધરપકડ
એક સંયુક્ત ઓપરેશનમાં, સાયબર ક્રાઈમ અને ગુજરાત યુનિવર્સિટી પોલીસની ટીમે મંગળવારે ગુજરાત યુનિવર્સિટીમાં કામ કરતા પટાવાળાની બોટની વિભાગમાંથી નર્સિંગની ગુમ થયેલી ઉત્તરવહીના કેસમાં તેની કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી છે. આરોપી સંજય ડામોર, (ઉં26) જે GUમાં કોન્ટ્રાક્ટ કર્મચારી હતો, મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઉમ્બર ટેકરા ગામમાંથી ઝડપાયો હતો.
જુલાઈમાં બીએસસી નર્સિંગના ચોથા વર્ષના 14 વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ ગુમ થઈ ગઈ હતી. આક્ષેપ કરાયો હતો કે, ડામોરે બે ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતાઓ સની ચૌધરી અને અમિત સિંહના કહેવાથી ઉત્તરવહીઓ ચોરી કરી હતી. જોકે, હાલ બંને આરોપી ફરાર છે. 10મી જુલાઈના રોજ લેવાયેલી પરીક્ષાની ઉત્તરવહીઓ વનસ્પતિ વિજ્ઞાન વિભાગના લોકર રૂમમાં સંયોજકની હાજરીમાં રાખવામાં આવી હતી. તેમાંથી 14 ઉત્તરવહીઓ ગુમ થઈ ગઈ હતી, જેના પછી ગુજરાત યુનિવર્સિટી પોલીસે 14 વિદ્યાર્થીઓના નિવેદનો નોંધ્યા હતા અને આ કેસમાં ચૌધરીની કથિત સંડોવણી વિશે જાણ્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે, ચૌધરીએ કથિત રીતે દરેક વિદ્યાર્થી પાસેથી તેમની ઉત્તરવહીઓ લોકર રૂમમાંથી બહાર કાઢવામાં મદદ કરવા માટે 50,000 રૂપિયા લીધા હતા. સૂચના મુજબ, ડામોરે ઉત્તરવહીઓ ચોરી અને ચૌધરીને આપી હતી. ત્યારપછી બંનેએ ઉત્તરવહીમાં સાચા જવાબો લખ્યા અને ડામોરને પાછી આપી, જેણે તેણે લોકર રૂમમાં પાછી મૂકી દીધી હતી. રૂ. 50 હજારમાં સંજય ડામોરને પણ ભાગ મળવાનો હતો. પોલીસે 12 જુલાઈએ ગુજરાત પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઑફ અનફેર મીન્સ) એક્ટ, 2023ના આરોપો સાથે IPCની સંબંધિત કલમો હેઠળ ઘરફોડ ચોરી, ગુનાહિત પેશકદમી અને ગુનાહિત કાવતરાની ફરિયાદ નોંધી હતી.

