ગુજરાત સરકારની જાહેરાતઃ આ 28 લાખ લોકોને મળશે 3 મહિના માટે ફ્રી ગેસ સિલિન્ડર

PC: dainikbhaskar.com

વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ કોવિડ-19ને કારણે ભારતભરમાં સર્જાયેલી વિકટ સ્થિતીમાં ગુજરાતના નાગરિકો-જનતા જનાર્દનની પડખે કેન્દ્ર અને રાજ્ય સરકાર સંપૂર્ણ સંવેદનાથી સહાયરૂપ થઇ છે. આ હેતુસર ભારત સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અને રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ જાહેર કરેલા છે. રાજ્યના ખેડૂતો ગરીબ, વંચિત, પીડિત, શ્રમિકો, ગંગા સ્વરૂપા માતા-બહેનો, દિવ્યાંગો અને મધ્યમવર્ગીય પરિવારોને પ્રવર્તમાન સ્થિતીમાં સહન કરવા વારો ન આવે તેવા ઉદાત્ત ભાવથી કેન્દ્ર અને રાજ્ય સરકારના મળીને કુલ 6210 કરોડના સહાય પેકેજના વિવિધ લાભ આપવામાં આવી રહ્યા છે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ બેય પેકેજની વિશેષતાઓ વર્ણવતાં જણાવ્યું કે, કોરોના વાયરસની સ્થિતીમાં કોઇ પણ પ્રજાજનોને જીવનનિર્વાહમાં, આર્થિક આધાર મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે ભારત સરકારે જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ જાહેર કરેલું છે તેમાં ગુજરાતને અંદાજે રૂ. 3950 કરોડના સહાય-લાભ મળી રહ્યા છે. તેમણે ઉમેર્યુ કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાજ્યના નાગરિકો-પ્રજાજનોની આ વિકટ સ્થિતીમાં સહાયરૂપ થવાની સંવેદના સાથે રૂ. 22પ9 કરોડનું મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ જાહેર કરીને તેના લાભ-સહાય પણ આપવાના શરૂ કરી દીધા છે. ઉજ્જવલા યોજના હેઠળની લાભાર્થી મહિલાઓને આવતા ત્રણ મહિના માટે ગેસ સિલિન્ડર મફત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ગુજરાતના 28 લાખ મહિલા ઉજ્જવલા યોજના લાભાર્થીઓને કુલ રૂ. 630 કરોડના ગેસ સિલિન્ડર વિનામૂલ્યે અપાવાના છે.

મુખ્યમંત્રીના સચિવે કહ્યું કે, કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત ગુજરાતને રૂ. 3,950 કરોડના જે લાભ-સહાય મળવાના છે તેમાં:-

- પી.એમ. કિસાન યોજના હેઠળ લાભાર્થી ખેડુતોને રૂ. 2000/- નો પ્રથમ હપ્તો એપ્રિલ મહિનાના પ્રથમ આઠવાડિયાથી ચુકવવામાં આવી રહેલ છે. જે અંતર્ગત ગુજરાતના 47,81,426 ખેડુત લાભાર્થીઓને લાભ કુલ રૂ. 956.28 કરોડનો લાભ આપવામાં આવી રહ્યો છે.

- જાહેર વિતરણ યોજના હેઠળ દર મહિને વ્યક્તિદીઠ વધારાનું 5 કિલો અનાજ અને પરિવાર દીઠ એક કિલો કઠોળ ત્રણ મહિના માટે મફત આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. રાશન કાર્ડ ધારકને આપવામાં આવતું દર મહિનાના કોટા ઉપરાંતનું આ અનાજ રહેશે. જે અંતર્ગત ગુજરાતના 68 લાખ કાર્ડ ધારકોને લાભ મળશે. જે માટે આશરે રૂ. 1,182 કરોડના ખર્ચનો અંદાજ છે.

- વૃદ્ધ, ગંગા સ્વરૂપા માતા-બહેનો અને દિવ્યાંગ લાભાર્થીઓને બે તબક્કામાં રૂ. 1000/- ની રકમ આગામી ત્રણ મહિનામાં એક્‍સ-ગ્રેશીઆ લાભ તરીકે ચુકવવાનો નિર્ણય કરવામાં આવેલ છે. તે અંતર્ગત કેન્‍દ્ર સરકારની યોજનાનો લાભ લેતા 5.80 લાખ વૃદ્ધ લાભાર્થીઓ, 10,700 દિવ્યાંગ લાભાર્થીઓ અને 97,437 ગંગા સ્વરૂપ બહેનો લાભાર્થીઓને લાભ મળશે. આ અન્વયે કુલ રૂ. 78.44 કરોડની સહાયનું વિતરણ કરવામાં આવશે.

- જન-ધન બેન્‍ક ખાતું ધરાવનાર મહિલાઓને દર મહિને રૂ. 500 ની રકમ આગામી ત્રણ મહિનામાટે એક્‍સ-ગ્રેશીઆ લાભ તરીકે ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જન ધન ખાતું ધરાવતી ગુજરાતની 74 લાખ મહિલા લાભાર્થીઓને કુલ રૂ. 1,110 કરોડનો લાભ મળવાનો છે.

- ઉજ્જવલા યોજના હેઠળની લાભાર્થી મહિલાઓને આવતા ત્રણ મહિના માટે ગેસ સિલિન્ડર મફત આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જે અંતર્ગત ગુજરાતના 28 લાખ મહિલા ઉજ્જવલા યોજના લાભાર્થીઓને કુલ રૂ. 630 કરોડના ગેસ સિલિન્ડર વિનામૂલ્યે અપાવાના છે.

- મહિલા સ્વ-સહાય જુથોને હાલમાં આપવામાં આવતી રૂ. 10 લાખની કોલેટરલ ફ્રી લોનમાં વધારો કરી તે રૂ. 20 લાખ કરવામાં આવશે. જે અંતર્ગત ગુજરાતના આશરે 2.27 લાખ મહિલા સ્વ-સહાય જુથો લાભ મેળવી શકશે.

- જે સંસ્થાનું મહેકમ 100 કર્મચારીઓ કરતાં ઓછું છે અને તેમાંથી 90% ની આવક 15,000 કરતાં ઓછી છે તેમના માટે એમ્પ્લોયર અને કર્મચારી બંનેનો ઇપીએફ ફાળો ચૂકવશે (12%+12%) એમ કુલ 24% ભારત સરકાર ચુકવશે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે ઉમેર્યુ કે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના કોવિડ-19 વાયરસની વર્તમાન સ્થિતીમાં રાજ્યના નાગરિકો-પ્રજાજનો પ્રત્યે સંપૂર્ણ સંવેદના દર્શાવીને રૂ. 2259 કરોડનું મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ પણ જાહેર કર્યુ છે તેના સહાય-લાભ રાજ્યમાં જરૂરતમંદોને મળી રહ્યા છે.

 અશ્વિનીકુમારે આ મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત મળી રહેલા લાભ-સહાયની વિગતો આ મુજબ આપી હતી...

- ગુજરાત સરકાર દ્વારા એપ્રિલ મહિનાનું અનાજ વાજબી ભાવની દુકાનો મારફતે મફત આપવામાં આવી રહેલ છે. જેમાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ અગ્રતાક્રમ ધરાવતા 65.40 લાખ રેશનકાર્ડ ધારકો અને અગ્રતાક્રમ સિવાયના બી.પી.એલ. કાર્ડ ધરાવતા 3.40 લાખ રેશનકાર્ડ ધારકોને વ્યક્તિદીઠ 5 કીલો અનાજ અને કાર્ડ દીઠ 1 કીલો દાળ, 1 કીલો મીઠું અને 1 કીલો ખાંડ આપવામાં આવી રહેલ છે. આ યોજના અન્વયે રૂ. 150 કરોડ રૂપિયાનું ભારણ રાજ્ય સરકાર ઉપાડી રહી છે.

- તદઉપરાંત, રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ અગ્રતાક્રમ સિવાયના એ.પી.એલ.-1 કાર્ડ ધરાવતા 61 લાખ રેશનકાર્ડ ધારકોને એપ્રિલ મહિનાનું અનાજ વાજબી ભાવની દુકાનો મારફતે મફત આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જેમાં કાર્ડ દીઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ અને 1 કિલો દાળ મફત આપવામાં આવશે. આ હેતુસર રૂ. 275 કરોડ રૂપિયાનું ભારણ રાજ્ય સરકારે ઉપાડયું છે.

- ઘરવિહોણા નિરાધાર તેમજ રાશન કાર્ડ ન ધરાવતા વ્યક્તિઓ માટે અન્નબ્રહ્મ યોજનાનો વ્યાપ વધારી વ્યક્તિદીઠ 5 કીલો અનાજ અને કાર્ડ દીઠ 1 કીલો દાળ, 1 કીલો મીઠું અને 1 કીલો ખાંડ આપવામાં આવી રહ્યા છે. આ માટે ખાસ સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને 4.26 લાખ કાર્ડ ધારકોને આ લાભોનું વિતરણ શરૂ થયું છે.

- રાજયમાં 68.80 લાખ જેટલા શ્રમિક કુટુંબોને કુટુંબદીઠ રૂ. 1000 ને સહાય ડીબીટી પધ્દતિથી બેન્‍ક ખાતામાં ચુકવવાનો નિર્ણય કરવામાં આવેલ છે અને આ માટે રાજ્ય સરકાર રૂ. 688 કરોડનું આર્થિક ભારણ ઉપાડવાની છે.

- રાજ્યના ખેડૂતોએ લીધેલા ટૂંકાગાળાના પાક ધિરાણના ચૂકવણાની મુદત ભારત સરકાર અને આર.બી.આઇ. દ્વારા 3 મહિના વધારી આપવામાં આવી છે. આ વધારેલી મુદત માટે ખેડૂતોને શુન્‍ય ટકા વ્યાજ ભોગવવું પડશે. પાક ધિરાણ ઉપરનું 3% વ્યાજ ભારત સરકાર અને 4% વ્યાજ ગુજરાત સરકાર એમ સંપૂર્ણ 7 ટકા વ્યાજ સરકાર ચુકવશે. ગુજરાત સરકાર આ માટે રૂ. 250 કરોડનું વધારાનો બોજ ઉઠાવશે.

- માર્ચ અને એપ્રિલ મહિનાના વીજળી બિલ ભરવાની મુદત 15 મે 2020 સુધી વધારવામાં આવી છે, આ માટે કોઈ દંડ વસુલ કરવામાં આવશે નહી. એટલું જ નહિ, વિજ વિતરણ કંપનીઓ દ્વારા વાણિજ્યિક અને ઉદ્યોગ કનેક્‍શનો ઉપરનો એપ્રિલ મહિનાનો ફિક્‍સ ચાર્જ માફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આના પરિણામે વિજ વિતરણ કંપનીઓ દ્વારા આશરે રૂ. 450 કરોડનું આર્થિક ભારણ ઉઠાવામાં આવશે.

- રાજ્યમાં વૃદ્ધ સહાય પેન્શન મેળવતા 9 લાખ, 30 હજાર લાભાર્થીઓ, ગંગા સ્વરૂપા બહેનો-માતાઓને આપવામાં આવતું સહાય પેન્શન મેળવતા 4,43,437 લાભાર્થીઓ, દિવ્યાંગ પેન્શન યોજનાનો લાભ મેળવતા 40,357 લાભાર્થીઓને 1 મહિનાની પેન્શનની કુલ રકમ રૂ. 221 કરોડ એડવાન્સ ચૂકવવામાં આવેલ છે.

- શાળાઓ બંધ કરવામાં આવેલ હોવાથી મધ્યાન ભોજન યોજનાના લાભાર્થીઓને ભોજન સહાયનો લાભ રોકડ સ્વરૂપમાં આપવામાં આવેલ છે. જેમાં 51,72,288 વિદ્યાર્થી લાભાર્થીઓને રૂા. 62.10 કરોડની સહાય આપવામાં આવેલ છે.

- આંગણવાડી કેન્દ્રો બંધ કરવામાં આવેલ હોવાથી 3 થી 6 વર્ષના બાળકોને ટેકહોમ રેશન સ્વરૂપે પોષક આહાર ઘરે પૂરો પાડવમાં આવેલ છે. જેનો લાભ 15.70 લાખ બાળકોને મળેલ છે. રાજ્ય સરકારે તે માટે રૂ. 35 કરોડનું ભારણ ઉપાડેલ છે.

- સમાજ કલ્યાણ વિભાગ અંતર્ગત નિવાસી છાત્રાલયો, આશ્રમ શાળાઓ, બાળ સુધાર ગૃહો બંધ કરવામાં આવેલ હોવાથી તેના 36 હજાર લાભાર્થીઓને 1 મહિનાની નિભાવ ભથ્થાની રૂા. 1500 ની રકમ ચૂકવી આપવામાં આવેલ છે. જે માટે રૂ. 5.40 કરોડની રકમ વાપરવામાં આવશે.

- આદિજાતિ વિકાસ વિભાગ હેઠળના નિવાસી છાત્રાલયો તેમજ આશ્રમ શાળાઓ બંધ કરવામાં આવેલ હોવાથી તેના 1,71,836 લાભાર્થીઓને 1 મહિનાની નિભાવ ભથ્થાંની રૂા. 1500 ની રકમ ચૂકવી આપવામાં આવેલ છે. રૂ. 25.78 કરોડની રકમ વાપરવામાં આવશે.

- કોરોના વાયરસનો સામનો કરનાર આરોગ્ય કર્મીઓને ભારત સરકાર દ્વારા રૂા. 50 લાખની વીમા સુરક્ષા આપવામાં આવેલ છે.

- કોરોના વાયરસની પરિસ્થિતને નિયંત્રણમાં લાવવા માટે કાર્યરત પોલીસ, મહેસુલ અને અન્ન-નાગરીક પુરવઠા વિભાગના કર્મચારીઓ, કોરોના વાયરસ સંદર્ભની કામગીરી સાથે સંકળાયેલા તમામ સરકારી કર્મચારીઓ, સફાઈ કર્મચારી, ફાયર સર્વીસના કર્મચારીઓને રૂા. 25 લાખ એકસ-ગ્રેશીયા સહાય રાજ્ય સરકારે જાહરે કરી છે.

- ગૌ શાળા અને પાંજરપોળામાં આવેલ 4.5 લાખ ગાયોના નિભાવ માટે પશુદીઠ પ્રતિદિન રૂ. 25 ની સહાય ચુકવવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જે માટે આશરે રૂ. 24 કરોડનો ખર્ચ થશે.

- વૃદ્ધ અને દિવ્યાંગ લાભાર્થીઓને આગામી બે તબક્કામાં કુલ રૂ. 1000ની સહાય રૂ. 500-500ના હપ્તામાં મળવાની છે તે અન્વયે આશરે સાડા ત્રણ લાખ વૃદ્ધ નિ:સહાય અને 29657 દિવ્યાંગ લાભાર્થીઓને મળીને રૂ. 37.96 કરોડની સહાય મળશે.

- રાજ્યની ત્રણ લાખ છેત્તાલીસ હજાર જેટલી ગંગા સ્વરૂપા માતા-બહેનો જે ગરીબી રેખાથી ઉપર નિર્વાહ કરે છે (નોન બી.પી.એલ) તેમને બે તબક્કામાં રૂ. 1000ની રકમ એકસગ્રેશીયા તરીકે ચૂકવવા અન્વયે રૂ. 34.60 કરોડની સહાય થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp