પતિની કિડની-લીવરનું દાન કરી કોકિલાબેને કહ્યું- બીજાના જીવનમાં ઉજાસ પથરાશે

PC: khabarchhe.com

પતિના બ્રેઇનડેડ થયાની જાણ થતાં તેઓ મૃત્યુ બાદ પણ અન્ય જીવમાં જીવંત રહી શકે. મારા પરિવારનો દીપક ઓલવાઇ રહ્યો છે, પરંતુ અન્ય કોઇ જરૂરિયાતમંદના જીવનમાં ઉજાસ પથરાય... કોઇક પીડિતને અંગોના ખોડખાપણ કે તકલીફની પીડાથી મુક્તિ મળે. તેમનું જીવન ફરીથી પ્રફુલ્લિત બની રહે... આ તમામ બાબતો વિચારીને જ મેં મારા બ્રેઇનડેડ પતિનાં અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો છે.... આ શબ્દો છે બ્રેઇનડેડ રસિકભાઇનાં પત્ની કોકિલાબહેન પરમારના.

રસિકભાઇ પરમાર મૂળ ખેડા જિલ્લાના મહેમદાબાદના વતની. ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા રસિકભાઇ 4થી મે ના રોજ ઘરે પરત થઇ રહ્યા હતા ત્યારે માર્ગ અકસ્માતમાં તેઓને માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઇજા પહોંચી.

ઇજા અત્યંત ગંભીર હોવાના પરિણામે તેઓને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યા. અહીં તબીબો દ્વારા પ્રાથમિક નિદાન કરતા હાલત અતિગંભીર જણાઇ જેથી તબીબોએ રસિકભાઇને આઇ.સી.યુ.માં સધન સારવાર અર્થે ખસેડવાનો નિર્ણય કર્યો.

સિવિલ હોસ્પિટલના તબીબોએ રસિકભાઇને બચાવવાના તમામ પ્રયાસો કર્યા. પરંતુ અંતે પ્રભુને ગમ્યું તે જ થયું. તમામ પ્રયત્નો બાદ તેઓને 8મી મે ના રોજ તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરાયા.

બ્રેઇનડેડ જાહેર થતાં સિવિલ હોસ્પિટલમાં અંગદાનની સેવાકીય પ્રવૃત્તિઓ માટે કાર્યરત SOTTO(State Organ Tissue And Tranplant Organisation)ના કાઉન્સેલર્સ દ્વારા રસિકભાઇનાં પત્નીને અંગદાન માટે પરામર્શન કરવામાં આવ્યું.

પતિના બ્રેઇનડેડ થયાની જાણ થતા જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ કોકિલાબહેનની હતી. આ દુ:ખની ઘડીમાં પણ પરોપકારની ભાવના સેવીને તેઓને અન્યોના હિતાર્થે અંગદાનનો જનહિતકારી નિર્ણય કર્યો.

આર્થિક રીતે ગરીબ પરંતુ હૃદયથી પરોપકારની ભાવના બાબતે માલેતુજાર કહી શકાય એવા આ પરમાર પરિવારમાં અગાઉ પણ રસિકભાઇના ભત્રીજાનું અંગદાન કરવામાં આવ્યું હતું. તેથી કોકિલાબહેનને અંગદાનની અગત્યતાની પણ જાણ હતી.

કોકિલાબહેન પરમારના આ નિર્ણયથી બ્રેઇનડેડ રસિકભાઇની બે કિડની અને એક લીવરનું દાન મળ્યું. જેને સિવિલ મેડિસિટીની જ કિડની હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.

સિવિલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. જોષીએ 108મા અંગદાનની પ્રતિક્રિયામાં જણાવ્યું કે, સમાજમાં વધી રહેલી અંગદાનની જાગૃતિના પરિણામે જ આજે બ્રેઇનડેડ દર્દીઓના અંગદાન મેળવીને અન્યોને નવજીવન આપવામાં સરળતા થઇ છે. જેના પરિણામે જ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસમાં પ્રતિદિન એક અંગદાન મેળવવામાં સફળતા મળી છે. જેનાથી પ્રત્યેક દિન ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp