રાજ્યની દરેક શાળામાં પ્રાથમિક સુવિધાઓ પ્રાપ્ત થઇ છેઃ શિક્ષણમંત્રી કુબેર ડીંડોર

PC: khabarchhe.com

દાહોદની એન.ઇ. જીરૂવાલા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કક્ષાનો વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનો આદિજાતિ વિકાસ, પ્રાથમિક માધ્યમિક અને પૌઢ શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોરે પ્રારંભ કરાવ્યો હતો અને બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.

જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં તાલુકા કક્ષાએ વિજેતા 90 બાળ વૈજ્ઞાનિકોએ 45 કૃતિની રજુઆત કરી હતી. તેમની સાથે તેમના માર્ગદર્શક શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોરે જણાવ્યું કે, રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ મળે એ માટે પ્રતિબદ્ધ છે. રાજ્યમાં દરેક શાળામાં પ્રાથમિક સુવિધાઓ મળી રહી છે. તેમજ તાજેતરમાં જ રાજ્યમાં શાળાઓમાં 19 હજારથી પણ વધુ ઓરડાઓ માટેના ટેન્ડર અલોટમેન્ટની કામગીરી કરવામાં આવી છે. દરેક જિલ્લામાં 10-10 શાળાઓ આદર્શ બનાવાના લક્ષ્ય સાથે રાજ્યમાં 1500 શાળાઓમાં સ્કુલ ઓફ એક્સલેન્સનો પ્રારંભ કરાશે. કોરોનાના સમય દરમિયાન પણ અમદાવાદથી બાયશેગના માધ્યમથી 7 ચેનલો ઉપર શિક્ષણનું કાર્ય ચાલુ રાખવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને થયેલો લર્નીગ લોસ પણ શિક્ષકોએ ઉઘડતી શાળાએ પૂર્ણ કર્યો છે.

PM નરેન્દ્ર મોદી દ્વારા નવી શિક્ષણનીતિને હવે રાજ્યમાં સુપેરે લાગુ કરવામાં આવશે તેમ જણાવતા શિક્ષણમંત્રીએ કહ્યું કે, આ માટેના સઘન પ્રયાસો CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કરાય રહ્યાં છે. જે અંતર્ગત PMના વિઝનને સાકાર કરવા વિદ્યાર્થીઓને 100 કલાક માટે બેગલેસ શિક્ષણ આપવામાં આવશે. વિદ્યાર્થી એક વર્ષમાં 1000 જેટલા કલાકો શાળામાં વિતાવતો હોય છે. જેમાંથી 100 કલાકો બેગલેસ શિક્ષણ અંતર્ગત તેનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ અને તેના છુપા કૌશલ્યને નિખરવામાં લગાવાશે. આ માટે 491 જેટલી શાળાઓની પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પસંદગી કરાઇ છે. તેમજ આગામી તા. 15 જુનથી બાલવાટીકા – પ્રીસ્કુલની પણ તમામ વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવશે.

દેશમાં વિદ્યા ક્ષેત્રે ભૂતકાળનો ભવ્ય ઇતિહાસની વાત જણાવતા તેમણે જણાવ્યું કે, દેશમાં નાલંદા, તક્ષશીલા, વલખી જેમ આંતરરાષ્ટ્રીય કક્ષાનો ગુરૂકુલ હતા. જેમાં લોકો દુનિયાભરમાંથી અભ્યાસ અર્થે આવતા. ભૂતકાળના આ ગૌરવને પુન:સ્થાપિત કરવા માટે PMના નેતૃત્વમાં દેશ આગેકુચ કરી રહ્યો છે તેમ જણાવતા તેમણે શિક્ષક એ કર્મચારી નહીં પરંતુ સમાજનો-રાષ્ટ્રનો ઘડવૈયો છે એમ કહી શિક્ષકની ભૂમિકા વિશે જણાવ્યું હતું.

પંચાયત અને કૃષિ મંત્રી બચુ ખાબડે જણાવ્યું કે, આપણો જિલ્લો શિક્ષણ ક્ષેત્રે પાછો ન રહે એ માટે આપણે સૌએ કમર કસવાની છે. જિલ્લામાં શિક્ષણ માટેની તમામ સુવિધાઓ પ્રાપ્ત થઇ રહી છે ત્યારે જિલ્લાના વિદ્યાર્થીઓએ ઊંચા લક્ષ હાંસલ કરવા માટે દિવસ રાત એક કરવા રહ્યાં. ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન જેવા કાર્યો વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત ક્ષમતાઓને બહાર લાવવાનું કાર્ય કરે છે અને તેઓને ઉજ્જવળ કારકિર્દી નિર્માણ માટે ઇજન આપે છે.

સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, ગણિત-વિજ્ઞાન ક્ષેત્રે બાળકોને પ્રોત્સાહન મળે, નવી ટેક્નોલોજીમાં વિદ્યાર્થીઓનો રસ જાગે અને તેમાં પારંગત બને એ માટે સઘન પ્રયાસો કરાઇ રહ્યાં છે. ટેક્નોલોજીથી વહીવટમાં પણ ભારે પારદર્શકતા આવી છે. દેશના 8 કરોડ કિસાનોના ખાતામાં સીધા જ પૈસા જમા થાય છે. વિવિધ યોજનાઓના લાભ ઓનલાઇન ટ્રાન્સફર થતા હોય ભષ્ટ્રાચારને નિવારી શકાયો છે. કોરોનાના કપરા સમયમાં પણ PMના નેતૃત્વમાં આપણા વૈજ્ઞાનિકો રસી બનાવી શકયા. જેનો દેશવાસીઓ અને અન્ય દેશના લોકોને પણ લાભ પ્રાપ્ત થયો છે. ત્યારે બાળકો વિજ્ઞાન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે સફળતા મેળવે એ માટેની શુભેચ્છાઓ તેમણે આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp