આજનું ભારત ઝડપથી વિચારે છે, દૂર સુધીનું વિચારે છે, ઝડપથી નિર્ણયો લે છે: PM મોદી

PC: khabarchhe.com

PM નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં યેલાહંકા ખાતે આવેલા એરફોર્સ સ્ટેશન પર યોજવામાં આવેલા એરો ઇન્ડિયા 2023ના 14મા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું હતું. એરો ઇન્ડિયા 2023ની થીમ છે ધ રનવે ટુ અ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ (એક અબજ તકોનો રનવે) રાખવામાં આવી છે અને તેમાં લગભગ 100 વિદેશી તેમજ 700 ભારતીય કંપનીઓ સહિત સંરક્ષણ ક્ષેત્રની 800 કંપનીઓ સાથે 80થી વધુ દેશોની સહભાગીતા જોવા મળશે. PM દ્વારા રજૂ કરવામાં આવેલી ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ની દૂરંદેશીને અનુરૂપ, આ કાર્યક્રમ સ્વદેશી સાધનો/ટેક્નોલોજી પ્રદર્શિત કરવા અને વિદેશી કંપનીઓ સાથે ભાગીદારી સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા PMએ જણાવ્યું હતું કે, બેંગલુરુનું આકાશ નવા ભારતની ક્ષમતાઓની સાક્ષી પૂરી રહ્યું છે. PMએ જણાવ્યું હતું કે, આ નવી ઊંચાઇ એ જ નવા ભારતની વાસ્તવિકતા છે, આજે ભારત નવી ઊંચાઇઓને આંબી રહ્યું છે અને તેને પાર પણ કરી રહ્યું છે.

PMએ જણાવ્યું હતું કે, એરો ઇન્ડિયા 2023 એ ભારતની વધી રહેલી ક્ષમતાઓનું એક ઝળહળતું દૃશ્ટાંત છે અને આ કાર્યક્રમમાં 100થી વધુ દેશોની ઉપસ્થિતિ આખી દુનિયાને ભારતમાં જે વિશ્વાસ તે દર્શાવી રહી છે. વિશ્વની જાણીતી કંપનીઓ સાથે ભારતીય MSME અને સ્ટાર્ટઅપ્સ સહિત 700થી વધુ પ્રદર્શકો આ કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા હોવાની તેમણે ખાસ નોંધ લીધી હતી. PMએ એરો ઇન્ડિયા 2023ની થીમ ‘ધ રનવે ટુ અ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ’ (એક અબજ તકોનો રનવે) પર પ્રકાશ પાડતા એવું કહ્યું હતું કે જેમ જેમ દિવસ વીતતા જાય છે તેમ આત્મનિર્ભર ભારતની શક્તિમાં નિરંતર વધારો થઇ રહ્યો છે.

આ શોની સાથે સાથે સંરક્ષણ મંત્રીની પરિષદ અને CEO રાઉન્ડ ટેબલ ચર્ચાનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાથી PM મોદીએ તેનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આ ક્ષેત્રમાં સક્રિય ભાગીદારી એરો ઇન્ડિયાની ક્ષમતાઓમાં વધારો કરશે.

PMએ ભારતની ટેકનોલોજીકલ પ્રગતિનું કેન્દ્ર ગણતા કર્ણાટકમાં એરો ઇન્ડિયાનું આયોજન કરવામાં આવ્યું તેના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, આના આયોજનથી કર્ણાટકના યુવાનો માટે ઉડ્ડયન ક્ષેત્રમાં પ્રગતિની તકોના નવા રસ્તાઓ ખુલશે. PMએ કર્ણાટકના યુવાનોને દેશને મજબૂત બનાવવા માટે સંરક્ષણ ક્ષેત્રે તેમના ટેકનોલોજીકલ કૌશલ્યનો ઉપયોગ કરવાનું આહ્વાન કર્યું હતું.

PMએ એરો ઇન્ડિયા 2023 નવા ભારતના બદલાઇ રહેલા અભિગમને પ્રતિબિંબિત કરે તે બાબતે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે જ્યારે દેશ નવી વિચારસરણી, નવા અભિગમ સાથે આગળ વધે છે, ત્યારે તેની પ્રણાલીઓમાં પણ નવી વિચારસરણી અનુસાર પરિવર્તન થવા લાગે છે. PMએ એ સમયને યાદ કર્યો કે જ્યારે એરો ઇન્ડિયાને ‘માત્ર એક શો’ માનવામાં આવતો હતો અને ‘ભારતને વેચવા’ માટેની વિન્ડો હતી, પરંતુ હવે તે અવધારણા બદલાઇ ગઇ છે. PMએ ટાંક્યું હતું કે, તે માત્ર સંરક્ષણ ઉદ્યોગના વ્યાપને જ દર્શાવતું નથી પણ ભારતના આત્મવિશ્વાસને પણ દર્શાવે છે અને સાથે કહ્યું હતું કે, આજે, એરો ઇન્ડિયા માત્ર કોઇ એક શો નથી રહ્યો પરંતુ ભારતની તાકાત છે.

PMએ જણાવ્યું હતું કે, ભારતની સફળતાઓ તેની ક્ષમતાઓની સાક્ષી છે. PMએ જણાવ્યું હતું કે, તેજસ, INS વિક્રાંત તેમજ સુરત અને તુમાકુરમાં ઉભી કરવામાં આવેલી અદ્યતન વિનિર્માણ સુવિધાઓ આત્મનિર્ભર ભારતની ક્ષમતાઓ છે જેની સાથે વિશ્વના નવા વિકલ્પો અને તકો જોડાયેલા છે.

PMએ સુધારાની મદદથી દરેક ક્ષેત્રમાં ક્રાંતિ આવી હોવાની નોંધ લેતા જણાવ્યું હતું કે, 21મી સદીનું નવું ભારત ન તો કોઇ તક ગુમાવશે કે ન તો તેમાં કોઇ પ્રયાસની કમી રહેશે. તેમણે રેખાંકિત કર્યું હતું કે, જે રાષ્ટ્ર દાયકાઓ સુધી સૌથી મોટો સંરક્ષણ આયાતકાર હતો તે દેશે હવે વિશ્વના 75 દેશોમાં સંરક્ષણ સાધનોની નિકાસ કરવાનું શરૂ કર્યું છે.

છેલ્લા 8-9 વર્ષોમાં સંરક્ષણ ક્ષેત્રમાં થયેલા પરિવર્તનનો ઉલ્લેખ કરતાં PMએ જણાવ્યું હતું કે, સંરક્ષણ ક્ષેત્રની હાલની નિકાસ 1.5 અબજ છે તેને વધારીને 2024-25 સુધીમાં 5 અબજ સુધી લઇ જવાનું લક્ષ્ય છે. PMએ કહ્યું હતું કે, અહીંથી ભારત સૌથી મોટા સંરક્ષણ વિનિર્માણ દેશોમાં સામેલ થવા માટે ઝડપથી પગલાં લેશે અને આપણા ખાનગી ક્ષેત્ર તેમજ રોકાણકારો તેમાં ઘણી મોટી ભૂમિકા ભજવશે. PMએ ખાનગી ક્ષેત્રને સંરક્ષણ ક્ષેત્રમાં રોકાણ કરવા માટે આહ્વાન કર્યું હતું, જે ભારતમાં અને અન્ય ઘણા દેશોમાં તેમના માટે નવી તકો ઊભી કરશે.

PM મોદીએ અમૃતકાળમાં ફાઇટર જેટ પાઇલટ સાથે ભારતની સામ્યતા દર્શાવતા કહ્યું હતું કે, આજનું ભારત ઝડપથી વિચારે છે, દૂર સુધીનું વિચારે છે અને ઝડપથી નિર્ણયો લે છે. PMએ ઉમેર્યું હતું કે, ભારત એક એવું રાષ્ટ્ર છે જે ડરતું નથી પરંતુ નવી ઊંચાઇઓને સર કરવા માટે ઉત્સાહિત છે. PMએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત ભલે ગમે તેટલી ઊંચાઇઓ પર ઉડે પરંતુ તેના મૂળ સાથે હંમેશા જોડાયેલું રહે છે.

PMએ ટિપ્પણી કરી હતી કે, એરો ઇન્ડિયાની પ્રચંડ ગર્જના ભારતના રીફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ (સુધારા, પ્રદર્શન અને પરિવર્તન)ના સંદેશનો પડઘો પાડે છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ભારતમાં ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ માટે કરવામાં આવેલા સુધારાની નોંધ આખી દુનિયા દ્વારા લેવામાં આવી રહી છે અને વૈશ્વિક રોકાણો તેમજ ભારતીય આવિષ્કારોની તરફેણ કરે તેવો માહોલ ઉભો કરવા માટે લેવામાં આવેલા વિવિધ પગલાંનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. તેમણે સંરક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણમાં કરવામાં આવેલા સુધારાઓ અને ઉદ્યોગોને લાઇસન્સ આપવાની પ્રક્રિયાને સરળ બનાવવા તેમજ તેમની માન્યતામાં વધારો કરવા માટે લેવામાં આવેલા પગલાંઓ તરફણ સૌનું ધ્યાન દોર્યું હતું. PMએ જણાવ્યું હતું કે, આ વર્ષના બજેટમાં વિનિર્માણ ક્ષેત્રના એકમોને આપવામાં આવતા કર લાભોમાં વૃદ્ધિ કરવામાં આવી છે.

PMએ જણાવ્યું હતું કે, જ્યાં માંગ છે, કૌશલ્ય અને અનુભવ છે, ત્યાં ઉદ્યોગનો વિકાસ થાય તે સ્વાભાવિક વાત છે. તેમણે ઉપસ્થિતોને ખાતરી આપી હતી કે આ ક્ષેત્રને મજબૂત બનાવવાના પ્રયાસો હજુ પણ વધુ મજબૂત રીતે આગળ વધતા રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp