PM મોદીએ પ્રધાનમંત્રી બન્યા પછી એક-એક કરીને દેશની સમસ્યાઓને દૂર કરી છેઃ શાહ

PC: twitter.com

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહે થોડા સમય પહેલા એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જો દેશ શરૂઆતથી જ ગાંધીજીના બતાવેલા માર્ગ પર ચાલ્યો હોત તો આજે દેશની અનેક સમસ્યાઓ ના હોત પણ વિડંબણા એ છે કે આપણે ગાંધીજીએ બતાવેલા માર્ગથી દૂર ચાલ્યા ગયા. આજે PM નરેન્દ્ર મોદી એક નવી શિક્ષણ નીતિ લઈને આવ્યા છે જે આજની આવશ્યકતાઓ અનુસાર છે. તેમણે કહ્યું કે ગાંધીજીના વિચાર નિશ્ચિત રીતે શિક્ષણના તમામ વિચારોને સમાવિષ્ટ કરે છે અને PM મોદીએ સ્વભાષા, રાજભાષા, રોજગાર અને સ્વાવલંબનલક્ષી શિક્ષણના તમામ સિદ્ધાંતોને નવી શિક્ષણ નીતિમાં પરોવવાનું કામ કર્યુ છે.

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રીએ કહ્યું કે સાઈકલ યાત્રા પર જઈ રહેલા લોકોને હું એ જ કહેવા માગું છું કે દાંડી માર્ચ માત્ર જન-જાગૃતિનો જ કાર્યક્રમ નહોતો પણ દાંડી માર્ચ દરમિયાન ગાંધીજી દરેક રાત્રી વિશ્રામ સમયે ગામ, દેશ અને ગરીબની સમસ્યા અને સમાજના દૂષણો વિશે જાણવાનો પ્રયાસ કરતા હતા. ગાંધીજીએ દાંડી યાત્રામાં ગ્રામીણ જીવન અને દેશની સમસ્યાઓને આત્મસાત કરીને તેને દૂર કરવાનો ઉપાય દેશની સામે રાખ્યો. આ રીતે નરેન્દ્ર મોદીએ PM બન્યા પછી એક-એક કરીને દેશની સમસ્યાઓને દૂર કરી છે. PM મોદી દ્વારા શરૂ કરાયેલી સ્વચ્છતા, દરેક ઘરમાં શૌચાલય, વીજળી અને પીવાનું શુદ્ધ પાણી, ગ્રામીણ ઉત્થાન તથા દરેક ગામ આત્મનિર્ભર અને દરેક વ્યક્તિ સ્વાવલંબી બને જેવી અનેક યોજનાઓમાં આ સ્પષ્ટ જોવા મળે છે.

અમિત શાહે કહ્યું કે ગાંધીજીએ જ્યારે 78 સાથીઓ સાથે દાંડી યાત્રા શરૂ કરી ત્યારે કોઈને એ ખ્યાલ નહોતો કે દાંડી યાત્રા ઈતિહાસ બનાવવા જઈ રહી છે અને દુનિયાભરના લોકો સદીઓ સુધી દાંડી યાત્રાને યાદ રાખશે અને તેનો અભ્યાસ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે આપણ પણ આજે દાંડી યાત્રા પર જઈ રહ્યા છો અને હું આપ સૌને એ આગ્રહ કરૂં છું કે યાત્રા દરમિયાન આપનો જ્યાં પણ રાત્રી વિશ્રામ હોય ત્યાં ગાંધીજીના મૂલ્યો અને તેમના બતાવેલા માર્ગ પર ગામોની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કરજો અને ગાંધીજીના મૂલ્યોનો પ્રચાર પ્રસાર કરજો.

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રીએ કહ્યું કે મારા માતાજી બાપુના અનુયાયી હતા જે કારણથી મને પણ ગાંધીજીને સમજવાનો અવસર મળ્યો અને હું નિશ્ચિત રીતે એમ કહી શકું છું કે મહાત્મા ગાંધીના સિદ્ધાંત શાશ્વત છે જે ક્યારેય કાળબાહ્ય નહીં થાય. તેમણે કહ્યું કે કેવળ એ વિચારો કે સિદ્ધાંતો જ કાળબાહ્ય હોય છે જે પરિસ્થિતિજન્ય હોય છે પરંતુ ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતો પરિસ્થિતિજન્ય નહોતા. બાપુના વિચારો અને સિદ્ધાંતો માનવ સ્વભાવને ઉર્ધ્વગતિ આપનારા હતા, માનવતાને ઊંચાઈ આપનારા હતા. જ્યાં સુધી માનવ જીવનનું અસ્તિત્વ છે ત્યાં સુધી ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતો શાશ્વત રહેશે. બાપુના વિચારો અને સિદ્ધાંતોનું સ્વરૂપ કદાચ બદલાય પણ તત્વ નહીં બદલે.

અમિત શાહે કહ્યું કે ગાંધીજીએ ખૂબ સહજતાથી અને નાની-નાની વાતોથી દેશભક્તિ જાગૃત કરવાનો પ્રયાસ કર્યો અને સમાજમાં ભ્રાતૃત્વનો ભાવ જગાડવા તેમજ સત્વશીલ લોકોને સંગઠિત કરવાનો પ્રયાસ કર્યો અને આ પ્રયાસોથી જ દેશ આઝાદ થયો. તેમણે કહ્યું કે આપણે દુનિયાના અનેક દેશોના આઝાદીના સંગ્રામના ઈતિહાસ જોયા છે. આપણો દેશ સ્વતંત્ર થયો એ પહેલા અને પછી ભારત સિવાય કોઈપણ અન્ય દેશ એવો નથી કે જ્યાં આઝાદીની લડાઈ કોઈ હથિયાર વિના લડવામાં આવી હોય. જનજાગૃતિ, સત્યાગ્રહનો પ્રયોગ, વિચાર અને સિદ્ધાંત આપણી સનાતન સંસ્કૃતિના સિદ્ધાંત હતા પણ એ વિસ્મૃત થઈ ગયા હતા અને ગાંધીજીએ તેમને ફરીથી પ્રતિપાદિત કર્યા, પ્રાસંગિક બનાવ્યા અને આઝાદીના જંગ માટેના મુખ્ય શસ્ત્રો બનાવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp