દેશ હવે અટકવાનો નથી, દેશે હવે વંદે ભારતની ગતિ પકડી લીધી છે: PM મોદી

PC: twitter.com

PM નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે દહેરાદૂનથી દિલ્હી સુધીની વંદે ભારત એક્સપ્રેસની પ્રથમ યાત્રાને લીલી ઝંડી આપી હતી. તેમણે નવા વિદ્યુતીકૃત રેલવે સેક્શનો પણ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા અને ઉત્તરાખંડને 100 ટકા વિદ્યુત ટ્રેક્શન રાજ્ય જાહેર કર્યું હતું.

જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઑસ્ટ્રેલિયાની ત્રણ દેશોની યાત્રા પર પ્રકાશ ફેંકતા PMએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિશ્વ ભારતને ઊંચી આશાઓ સાથે જોઈ રહ્યું છે. PMએ કહ્યું હતું કે, જ્યારે અર્થતંત્રને મજબૂત કરવાની અને ગરીબી સામે લડવાની વાત આવે છે, ત્યારે ભારત વિશ્વ માટે આશાનું કિરણ બની ગયું છે.તેમણે કોરોનાવાયરસ મહામારીને પહોંચી વળવા માટે ભારત અને દેશમાં હાથ ધરવામાં આવેલાં વિશ્વનાં સૌથી મોટા રસીકરણ અભિયાન પર પણ વાત કરી. PMએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે દુનિયાભરનાં લોકો ભારત આવવા ઇચ્છે છે ત્યારે ઉત્તરાખંડ જેવાં સુંદર રાજ્યોએ આજની સ્થિતિનો મહત્તમ લાભ લેવો જોઈએ. PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વંદે ભારત ટ્રેન ઉત્તરાખંડને પણ આ તકનો સંપૂર્ણ લાભ લેવામાં મદદરૂપ થશે.

આ પ્રસંગે PMએ કેદારનાથની પોતાની મુલાકાતને યાદ કરી હતી અને 'આ દાયકો ઉત્તરાખંડનો દાયકો બનવા જઈ રહ્યો છે' એ વિધાનને યાદ કર્યું હતું. તેમણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને મજબૂત રાખવાની સાથે રાજ્યના વિકાસને વેગની પ્રશંસા કરી. PMએ આશા વ્યક્ત કરી હતી કે, 'દેવભૂમિ વિશ્વની આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર બનશે.' તેમણે કહ્યું કે આપણે આ ક્ષમતાને સાકાર કરવા માટે કામ કરવું પડશે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ચાર ધામ યાત્રા માટે યાત્રાળુઓની સંખ્યા જૂના વિક્રમો તોડતી રહે છે. તેમણે બાબા કેદાર, હરિદ્વારમાં કુંભ/અર્ધકુંભ અને કંવર યાત્રાનાં દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે ઘણાં રાજ્યોમાં આટલી સંખ્યામાં ભક્તોનું આગમન થતું નથી અને તે એક ભેટ તેમજ એક મહાન કાર્ય છે. તેમણે ઉમેર્યું હતું કે, ડબલ એન્જિન સરકાર આ 'ભગીરથ' કાર્યને સરળ બનાવવા ડબલ પાવર અને ડબલ સ્પીડ સાથે કામ કરી રહી છે.

PMએ કહ્યું હતું કે, સરકારે વિકાસનાં 9 રત્નો 'નવરત્ન' પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું હતું કે, પ્રથમ રત્ન કેદારનાથ-બદ્રીનાથ ધામમાં 1300 કરોડ રૂપિયાના કાયાકલ્પનું કામ છે. બીજું, ગૌરીકુંડ-કેદારનાથ અને ગોવિંદ ઘાટ- હેમકુંટ સાહિબમાં 2500 કરોડ રૂપિયાનો રોપ-વે પ્રોજેક્ટ. ત્રીજું, માનસ ખંડ મંદિર માલા કાર્યક્રમ હેઠળ કુમાઉનાં પ્રાચીન મંદિરોનું નવીનીકરણ. ચોથું, સમગ્ર રાજ્યમાં હોમસ્ટેનું પ્રમોશન, જ્યાં રાજ્યમાં 4000થી વધુ હોમસ્ટેની નોંધણી થઈ છે. પાંચમું, 16 ઇકોટુરિઝમ સ્થળોનો વિકાસ. છઠ્ઠું, ઉત્તરાખંડમાં આરોગ્ય સેવાઓનું વિસ્તરણ. ઉધમસિંહ નગરમાં એઈમ્સનું સેટેલાઈટ સેન્ટર બની રહ્યું છે. સાતમું, 2000 કરોડ રૂપિયાનો ટિહરી લેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ. આઠમું, હરિદ્વાર ઋષિકેશનો યોગ અને સાહસિક પર્યટનની રાજધાની તરીકે વિકાસ અને છેલ્લે, તનાકપુર બાગેશ્વર રેલ લાઇન.

તેમણે કહ્યું કે આ નવરત્નોને રાજ્યમાં માળખાગત વિકાસના નવા વેગ સાથે એકીકૃત કરવામાં આવી રહ્યા છે. 12,000 કરોડ રૂપિયાની ચાર ધામ મહાપરિયોજના પર ઝડપથી કામ ચાલી રહ્યું છે, એમ તેમણે માહિતી આપી હતી. દિલ્હી દહેરાદૂન એક્સપ્રેસ વે મુસાફરીને ઝડપી અને સરળ બનાવશે. તેમણે ઉત્તરાખંડમાં રોપ-વે કનેક્ટિવિટી વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, પર્વત માલા પ્રોજેક્ટ આગામી દિવસોમાં રાજ્યનું ભાગ્ય બદલવા જઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, રૂ. 16,000 કરોડનો ઋષિકેશ-કરણપ્રયાગ રેલ પ્રોજેક્ટ 2-3 વર્ષમાં પૂર્ણ થશે. આ પ્રોજેક્ટ ઉત્તરાખંડના મોટા ભાગને સુલભ બનાવશે અને રોકાણ, ઉદ્યોગ અને રોજગારીને વેગ આપશે.

PMએ નોંધ્યું હતું કે, કેન્દ્ર સરકારની મદદથી ઉત્તરાખંડ પ્રવાસન, એડવેન્ચર ટૂરિઝમ, ફિલ્મ શૂટિંગ ડેસ્ટિનેશન અને વેડિંગ ડેસ્ટિનેશનનાં કેન્દ્ર સ્વરૂપે બહાર આવી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યનાં પ્રવાસન સ્થળો દુનિયાભરમાંથી મુલાકાતીઓને આકર્ષી રહ્યાં છે અને વંદે ભારત એક્સપ્રેસ તેમનાં માટે અતિ લાભદાયક પુરવાર થશે. PMએ નોંધ્યું હતું કે, જે લોકો તેમનાં પરિવારજનો સાથે હોય છે, તેમનાં માટે ટ્રેનમાં મુસાફરી કરવી એ પ્રથમ પસંદગી છે અને વંદે ભારત ધીમે ધીમે પરિવહનનો માર્ગ બની રહી છે.

PMએ કહ્યું હતું કે, 21મી સદીનું ભારત માળખાગત સુવિધાઓની સંભવિતતાને મહત્તમ કરીને વિકાસની વધુ ઊંચાઈઓ સર કરી શકે છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે, ભૂતકાળની સરકારો માળખાગત સુવિધાઓનું મહત્ત્વ સમજી શકી ન હતી, જ્યારે તે ભ્રષ્ટાચાર અને વંશવાદી રાજકારણમાં વ્યસ્ત હતી. અગાઉની સરકારો દ્વારા ભારતમાં હાઈ-સ્પીડ ટ્રેનો અંગે મોટા પાયે વચનો આપવામાં આવ્યા હોવા છતાં, PMએ નોંધ્યું હતું કે તે રેલવે નેટવર્કમાંથી માનવરહિત ફાટકોથી છુટકારો મેળવવામાં પણ નિષ્ફળ ગયા હતા, જ્યારે રેલવે લાઇનોનાં વીજળીકરણની સ્થિતિ વધુ ખરાબ હતી. PMએ જાણકારી આપી હતી કે, વર્ષ 2014 સુધીમાં દેશનાં ફક્ત એક તૃતિયાંશ રેલવે નેટવર્કનું વિદ્યુતીકરણ થયું, જેનાં કારણે ઝડપથી દોડતી ટ્રેન વિશે વિચારવું અશક્ય બની ગયું. PMએ કહ્યું હતું કે, રેલવેની કાયાપલટ કરવા માટે વર્ષ 2014 પછી સંપૂર્ણ કામગીરી શરૂ થઈ હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સેમી હાઈસ્પીડ ટ્રેનો માટે આખું નેટવર્ક તૈયાર કરવાની સાથે-સાથે દેશની પ્રથમ હાઈસ્પીડ ટ્રેનનું સ્વપ્ન સાકાર કરવાનું કામ પૂરજોશમાં શરૂ થયું હતું. PMએ જાણકારી આપી હતી કે, વર્ષ 2014 અગાઉ દર વર્ષે સરેરાશ 600 કિલોમીટરની રેલવે લાઇનનું ઇલેક્ટ્રિફિકેશન થયું હતું, ત્યારે આજે દર વર્ષે 6,000 કિલોમીટરની રેલવે લાઇનનું ઇલેક્ટ્રિફિકેશન થાય છે. PMએ કહ્યું હતું કે, આજે દેશનાં 90 ટકાથી વધારે રેલવે નેટવર્કનું વિદ્યુતીકરણ થઈ ગયું છે. ઉત્તરાખંડમાં સંપૂર્ણ રેલવે નેટવર્કનું 100 ટકા વિદ્યુતીકરણ થઈ ગયું છે, એમ PMએ માહિતી આપી.

PMએ વિકાસલક્ષી કાર્યોનો શ્રેય યોગ્ય ઇરાદા, નીતિ અને સમર્પણને આપ્યો હતો. વર્ષ 2014ની સરખામણીમાં રેલવે બજેટમાં થયેલા વધારાનો સીધો લાભ ઉત્તરાખંડને થયો છે એ વાત પર ભાર મૂકીને PMએ જણાવ્યું હતું કે, વર્ષ 2014 અગાઉ રાજ્ય માટેનું સરેરાશ બજેટ રૂ. 200 કરોડથી ઓછું હતું, ત્યારે અત્યારે રેલવે બજેટ રૂ. 5,000 કરોડ હતું, જે 25 ગણું વધારે છે. PMએ પર્વતીય રાજ્યમાં કનેક્ટિવિટીનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો, જ્યાં ગામડાંનાં લોકો કનેક્ટિવિટીનાં અભાવે સ્થળાંતર કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર આગામી પેઢીઓ માટે આ પીડાને અટકાવવા ઇચ્છે છે. તેમણે એમ પણ નોંધ્યું હતું કે, આપણી સરહદો સુધી સરળતાથી પહોંચવામાં આધુનિક કનેક્ટિવિટીનો પણ ઘણો ઉપયોગ થશે અને દેશનું રક્ષણ કરતા સૈનિકોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થવી જોઈએ.

સંબોધનનાં સમાપનમાં PMએ જણાવ્યું હતું કે, ડબલ એન્જિન ધરાવતી સરકાર ઉત્તરાખંડનાં વિકાસ માટે કટિબદ્ધ છે, જ્યાં ઉત્તરાખંડનો ઝડપી વિકાસ ભારતના ઝડપી વિકાસમાં પણ મદદરૂપ થશે. દેશ હવે અટકવાનો નથી, દેશે હવે તેની ગતિ પકડી લીધી છે. આખો દેશ વંદે ભારતની ગતિએ આગળ વધી રહ્યો છે અને આગળ વધતો રહેશે, એમ PMએ સમાપન કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp