સાળાના લગ્ન માટે રોહિત ન રમ્યો મેચ, ગાવસ્કરે ભડકીને કહ્યુ-એવો કેપ્ટન ન જોઈએ જે..

PC: twitter.com

ભારત ઓસ્ટ્રેલિયા સામે ચાર વર્ષ બાદ ઘરઆંગણે 2-1થી વન-ડે સીરિઝ હારી ગયું હતું. ભારતની હાર બાદ ફેન્સ ટીમ ઈન્ડિયા પર ભડક્યા હતા અને સાથે પૂર્વ ખેલાડીઓએ પણ ભારતીય ટીમ પર રોષ ઠાલવ્યો હતો, જેમાં ભારતના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કર પણ પાછળ નહોતા રહ્યા. સુનિલ ગાવસ્કરે કહ્યું હતું કે, મારા હિસાબે રોહિત શર્માને દરેક મેચ રમવાની જરૂર છે. તમારી પાસે એવો કપ્તાન ન હોવો જોઈએ જે એક મેચ માટે હાજર રહે અને બાકીની મેચમાં ગાયબ રહે. આ ઘણી મહત્ત્વની વાત છે. આ કોઈપણ ખેલાડી સાથે થઇ શકે છે, પરંતુ મને ખબર છે કે ફેમિલીને કારણે તે ન રમી શક્યો. પરંતુ જ્યારે વર્લ્ડ કપનો સવાલ હોય તો ફેમિલીને પાછળ છોડવી પડે છે. આ પહેલા જ તમે બધી વસ્તુઓને પૂરી કરી લો અને જ્યાં સુધી કોઈ ઈમરજન્સી ના હોય મેચ મિસ ન કરો. જ્યારે કોઈ ઈમરજન્સી આવી જાય ત્યારે વાત અલગ હોય છે. લીડરશિપમાં નિરંતરતાની જરૂરિયાત સૌથી વધુ હોય છે.

ઉલ્લેખનીય છે કે, રોહિત શર્મા પોતાના સાળાના લગ્નમાં હાજર રહેવા માટે પહેલી મેચ નહોતો રમ્યો, જેમાં હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી હતી. બીજી વન-ડેથી તે ટીમ સાથે જોડાયો હતો, જેમાં ભારતની બંને વન-ડેમાં હાર થઈ હતી.

રોહિત શર્માએ જણાવ્યું ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ કેમ હારી વન-ડે સીરિઝ

ઓસ્ટ્રેલિયન ટીમ વિરુદ્ધ ત્રીજી વન-ડે મેચમાં મળેલી હાર બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા ખૂબ નિરાશ નજરે પડ્યો. ત્રીજી વન-ડેમાં મળેલી હાર માટે ભારતીય ટીમને જવાબદાર ઠેરવી, જેના કારણે ટીમે 3 મેચોની સીરિઝ 1-2થી ગુમાવી દીધી. રોહિત શર્માએ મેચ બાદ કહ્યું કે, મને નથી લાગતું કે લક્ષ્ય મોટું હતું. જો કે, વિકેટ બીજી ઇનિંગમાં પડકારપૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ મને નથી લાગતું કે અમે સારી બેટિંગ કરી. પાર્ટનરશિપ મહત્ત્વપૂર્ણ હોય છે અને આજે અમે તેને બનાવવામાં નિષ્ફળ રહ્યા.

તેણે કહ્યું કે, અમે જે પ્રકારે આઉટ થયા એ નિરાશાજનક હતું. અમે આ પ્રકારની વિકેટ પર રમતા મોટા થયા છીએ. ક્યારેક ક્યારેક તમારે પોતાને ચાંસ આપવાનો હોય છે. મહત્ત્વપૂર્ણ હતું કે, એક બેટ્સમેન અંત સુધી રમતો રહે, પરંતુ અમે બધા પોતાનું સર્વશ્રેષ્ઠ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ એમ ન થયું. અમે જાન્યુઆરીથી 9 વન-ડે રમી છે. અમે તેનાથી ઘણી સકારાત્મક વસ્તુ લઈ શકીએ છીએ. આ આખી ટીમની હાર છે. એડમ જમ્પાએ 45 રન આપીને 4 મહત્ત્વપૂર્ણ વિકેટ લઈને ભારત વિરુદ્ધ મોરચો ખોલી દીધો દીધો હતો. જેના કારણે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

રોહિત શર્માએ આગળ કહ્યું કે, અમારે સમજવાની જરૂરિયાત છે કે અમારે ક્યાં સુધાર કરવાની જરૂરિયાત છે. આ બધાની હાર છે, અમે આ સીરિઝથી ઘણું બધુ શીખી શકીએ છીએ. ઓસ્ટ્રેલિયન ટીમને શ્રેય મળવો જોઈએ. બંને સ્પિનરોએ દબાવ બનાવ્યો અને તેમના ફાસ્ટ બોલરોએ પણ. ભારતની આ ઘરમાં વર્ષ 2019 બાદ વન-ડે દ્વિપક્ષીય સીરિઝમાં પહેલી હાર છે. છેલ્લી વખત ઓસ્ટ્રેલિયાએ જ ભારતીય ટીમને 2-3થી ઘર આંગણે સીરિઝ હરાવી હતી. ત્યારબાદ ભારતીય ટીમે સતત ઘર આંગણે 7 વન-ડે સીરિઝ જીતી હતી.

મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયન ટીમે પહેલા બેટિંગ કરતા 49 ઓવરમાં 269 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી બોલિંગ કરતા સૌથી 3-3 વિકેટ હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે લીધી. જ્યારે અક્ષર પટેલ અને મોહમ્મદ સિરાજને 2-2 વિકેટ મળી હતી. 270 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 49.1 ઓવરમાં 248 રન પર જ સમેટાઇ ગઈ હતી. ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી બોલિંગ કરતા સૌથી વધુ 4 વિકેટ એડમ જમ્પાએ લીધી, જ્યારે એશ્ટન એગરને 2 અને માર્કસ સ્ટોઈનિસ અને સેન એબોટને 1-1 વિકેટ મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp