આ 3 ખેલાડી માટે રોહિત શર્માએ કહ્યું- તેમના માટે હજુ દરવાજા બંધ નથી થયા

PC: twitter.com

એશિયા કપ માટે ભારતીય ટીમની પસંદગી કરી લેવામાં આવી છે, જેમાં 17 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ આ લિસ્ટમાં યુઝવેન્દ્ર ચહલ, રવિચંદ્રન અશ્વિન અને વોશિંગટન સુંદરને સ્થાન મળ્યું નથી. આ સાથે જ સવાલ ઉઠ્યા છે કે, શું આ ત્રણ ખેલાડીઓ માટે દરવાજા બંધ થઇ ગયા છે. શું ખેલાડીઓને વર્લ્ડ કપની સ્ક્વોડમાં પણ સ્થાન નહીં મળે? આ બધા સવાલના જવાબ આજે કેપ્ટન રોહિત શર્માએ આપ્યા છે.

એશિયા કપની ટીમની જાહેરાત ભારતીય ક્રિકેટ ટીમના નવા ચીફ સિલેક્ટર અજિત અગરકર અને કેપ્ટન રોહિત શર્માએ સાથે મળીને કરી હતી. આ દરમિયાન બંનેએ એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી, જેમાં અનેક સવાલોના જવાબ આપ્યા હતા, જેમાં રોહિત શર્માને અશ્વિન અને ચહલ વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં રોહિતે કહ્યું હતું કે, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ અને વોશિંગટન સુંદર સહિત કોઈ ખેલાડી માટે વર્લ્ડ કપની ટીમમાં શામેલ થવા માટે દરવાજા બંધ નથી થયા. અમારે આવું કરવું પડ્યું કારણ કે અમે ફક્ત 17 ખેલાડી જ પસંદ કરી શકીએ તેમ હતા.

જેની બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આવી ગયો છે અને એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. 16 સભ્યોની ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેને રોહિત શર્મા લીડ કરશે. ટીમમાં કેએલ રાહુલ અને શ્રેયસ ઐયરની વાપસી થઈ છે. પરંતુ અચરજની વાત એ છે કે ટીમમાં સંજુ સેમસનને મુખ્ય ટીમમાં સ્થાન નથી મળ્યું. તેને રિઝર્વ વિકેટ કીપર તરીકે સ્થાન મળ્યું છે. આ સિવાય જેની ચર્ચા ચાલતી હતી કે હાર્દિક પંડ્યાની વાઇસ કેપ્ટન તરીકે છૂટ્ટી થશે, તે વાતનો અંત આવી ગયો છે. પંડ્યાને જ એશિયા કપમાં વાઇસ કેપ્ટન તરીકે જાળવી રખાયો છે. 

રોહિતની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ એશિયા કપમાં પોતાની પહેલી મેચ 2 સપ્ટેમ્બરના રોજ રમશે. આ મુકાબલો પાકિસ્તાન સામે થશે અને શ્રીલંકામાં આ મહામુકાબલો રમાશે. ત્યાર બાદ ઈન્ડિયન ટીમ ગ્રુપ મેચમાં પોતાની બીજી મેચ નેપાલ સામે 4 સપ્ટેમ્બરે રમશે. એશિયા કપમાં બે ગ્રુપ છે, જેમાં એક ગ્રુપમાં ભારત, પાકિસ્તાન અને નેપાળને રાખવામાં આવ્યું છે.

એશિયા કપ માટે પસંદ થયેલા 16 ખેલાડી

રોહિત શર્મા

વિરાટ કોહલી

શુભમન ગીલ

કેએલ રાહુલ

શ્રેયસ ઐયર

હાર્દિક પંડ્યા

રવિન્દ્ર જાડેજા

જસપ્રીત બૂમરાહ

મોહમ્મદ શમી

મોહમ્મદ સિરાજ

કુલદીપ યાદવ

ઈશાન કિશન

અક્ષર પટેલ

શર્દૂલ ઠાકુર

સૂર્યકુમાર યાદવ

તિલક વર્મા

પ્રસિદ્ધ ક્રિષ્ના

સંજુ સેમસન(રિઝર્વ વિકેટકીપર)

એશિયા કપની ફાઇનલ સહિત કુલ 13 મેચ રમાવાની છે, જેમાં 4 મેચ પાકિસ્તાનમાં થશે, જ્યારે બાકીની 9 મેચ શ્રીલંકામાં રમાશે. આ વખતે એશિયા કપ વન-ડે ફોર્મેટમાં થઈ રહ્યો છે. એશિયા કપના રેકોર્ડની વાત કરીએ તો આ ટુર્નામેન્ટમાં ભારતનો દબદબો રહ્યો છે. અત્યાર સુધીમાં 15 વાર એશિયા કપ રમાયો છે, જેમાં ભારતીય ટીમ સૌથી વધુ 7 વાર ચેમ્પિયન બની છે, જ્યારે શ્રીલંકા બીજા નંબરે છે, જે 6 વાર ચેમ્પિયન બની છે. પાકિસ્તાન બે વાર જ આ ટુર્નામેન્ટ જીતી શકી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp