- Opinion
- ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
54.jpg)
આમ આદમી પાર્ટી (આપ) ના ગુજરાતના નેતા ગોપાલ ઇટાલિયાને પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલે વિસાવદર પેટાચૂંટણી માટે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ચૂંટણીની તારીખ હજી નક્કી નથી થઈ પરંતુ આપે પોતાની રણનીતિ સ્પષ્ટ કરી દીધી છે કે તેઓ આ ચૂંટણીને પૂરા જોરશોરથી લડવા માગે છે. ગોપાલ ઇટાલિયા જેઓ સોશિયલ મીડિયા પર ભાજપ સરકાર અને તેના શીર્ષ નેતૃત્વ સામે આક્રમક ટિપ્પણીઓ માટે જાણીતા છે તેમની આ લડત ગુજરાતમાં આપની હયાતી માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. પરંતુ સવાલ એ છે કે શું તેઓ માત્ર વાયદા અને તોછડી નિંદાથી આગળ વધીને મતદારોનો વિશ્વાસ જીતી શકશે? ભાજપના મજબૂત સંગઠન અને દાયકાઓના વિકાસના કામો સામે આપનું આ પગલું કેટલું સફળ થશે તે એક મોટો પ્રશ્ન છે.
ગુજરાતમાં ભાજપનું સંગઠન એક નક્કર દિવાલની જેમ ઊભું છે. ગામડે ગામડે, શહેરે શહેરે ભાજપના કાર્યકર્તાઓની સક્રિયતા અને તેમની સરકારના વિકાસના કામોની લાંબી યાદીએ પક્ષને અજેય બનાવ્યો છે. રસ્તાઓ, પાણી, વીજળી, શિક્ષણ અને ઔદ્યોગિક વિકાસ જેવા ક્ષેત્રોમાં ભાજપ સરકારે છેલ્લા બે દાયકાથી સતત કામ કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકચાહના ગુજરાતના મતદારોમાં ઊંડે સુધી પ્રવેશી ગઈ છે જે ભાજપને એક અલગ જ બળ આપે છે. આવા માહોલમાં ગોપાલ ઇટાલિયા અને આપ માટે ચૂંટણી જીતવી એ કપરા ચઢાણથી ઓછું નથી. ભાજપના આ મજબૂત આધારને તોડવા માટે આપને માત્ર વાયદાઓ કે ટીકાઓથી નહીં પરંતુ નક્કર વિકલ્પ અને મતદારોની લાગણીઓને સ્પર્શતી રણનીતિની જરૂર પડશે.
ગોપાલ ઇટાલિયાની સૌથી મોટી તાકાત અને નબળાઈ બંને તેમની આક્રમક શૈલી છે. સોશિયલ મીડિયા પર તેઓ ભાજપના નેતાઓ અને સરકારની નીતિઓ પર તીખી ટિપ્પણીઓ કરતા જોવા મળે છે જે યુવાનો અને અસંતુષ્ટ વર્ગમાં ચોક્કસ આકર્ષણ પેદા કરે છે પરંતુ આ તોછડી ભાષા અને વિવાદાસ્પદ નિવેદનો તેમને ગુજરાતના પરંપરાગત મતદારોમાંથી દૂર પણ કરી શકે છે. ગુજરાતનો મતદાર વિકાસ અને સ્થિરતાને પ્રાથમિકતા આપે છે અને આપના કાર્યકર્તાઓનું સંગઠન હજી ભાજપની સરખામણીમાં નબળું છે. આપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ હોવા છતાં તેમની સંખ્યા અને સંગઠન ગુજરાતના રાજકીય મેદાનમાં હજી પૂરતી મજબૂતી ધરાવતી નથી. આવી સ્થિતિમાં ગોપાલ ઇટાલિયા માટે માત્ર પોતાની વાણી પર નહીં પરંતુ નીચલા સ્તરે કામ કરતા કાર્યકર્તાઓના બળ પર આધાર રાખવો પડશે જે હાલ એક મોટો પડકાર જણાય છે.
આપની રણનીતિમાં ચૂંટણી પહેલાં ઉમેદવાર જાહેર કરવું એ એક હકારાત્મક પગલું ગણી શકાય કારણ કે તેનાથી તેઓને પ્રચાર માટે વધુ સમય મળશે. પરંતુ આ રણનીતિ ત્યારે જ સફળ થશે જો ગોપાલ ઇટાલિયા સ્થાનિક મુદ્દાઓને ઉઠાવીને મતદારો સાથે સીધો સંવાદ સાધી શકે. વિસાવદર જેવા ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતોની સમસ્યાઓ, પાણીની તંગી અને રોજગારના અભાવ જેવા પ્રશ્નો મહત્વના બની રહેશે. જો ગોપાલ ઇટાલિયા આ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે ભાજપ સામે માત્ર ટીકાઓનો વરસાદ વરસાવશે તો તેમની જીતની આશા ઝાંખી પડી શકે છે. મતદારો હવે ખાલી વાયદાઓથી કંટાળી ગયા છે તેઓ નક્કર યોજનાઓ અને સાચી નેતૃત્વની શોધમાં છે.
ગોપાલ ઇટાલિયા માટે આ ચૂંટણી માત્ર એક બેઠક જીતવાનો પ્રશ્ન નથી પરંતુ ગુજરાતમાં આપની રાજકીય સંગતતા સાબિત કરવાની કસોટી છે. જો તેઓ જીતે છે તો તે આપને ગુજરાતમાં નવું જીવન આપશે અને ગોપાલ ઇટાલિયાને ખરા નેતા તરીકે સ્થાપિત કરશે. પરંતુ જો તેઓ હારે છે તો તે આપની ગુજરાતમાં નબળી સ્થિતિને વધુ ઉજાગર કરશે. આ બધું હવે વિસાવદરના મતદારોના હાથમાં છે જેઓ નક્કી કરશે કે ગોપાલ ઇટાલિયા આપને ડુબાડશે કે તારશે. આ ચૂંટણી આપની સક્રિયતા અને ભાજપની મજબૂતી વચ્ચેનો રસાકસીભર્યો જંગ હશે જેનું પરિણામ ગુજરાતના રાજકારણની દિશા નક્કી કરશે.
Top News
આ 3 એવા ક્ષેત્રો છે જેની પર AIની અસર ન થશે, બાકી ખતમ: બિલ ગેટ્સ
ઓનલાઇન જુગારમાં ભાજપની મહિલા નેતાના પુત્રની સંડોવણી, નામ દુર કરાવવા ધમપછાડા
ઓડિશાના વેપારી સાથે છેતરપિંડી કેસમાં પોલીસ ભાજપ નેતા પ્રવિણ ભાલાળાને શોધી રહી છે
Opinion
