- National
- લોકસભામાં ઈમિગ્રેશન બિલ પાસ, અમિત શાહે કહ્યું- ભારત કોઇ ધર્મશાળા નથી
લોકસભામાં ઈમિગ્રેશન બિલ પાસ, અમિત શાહે કહ્યું- ભારત કોઇ ધર્મશાળા નથી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, સરકાર એ લોકોનું સ્વાગત કરવા તૈયાર છે, જેઓ પર્યટકના રૂપમાં કે શિક્ષણ, આરોગ્ય સેવા અને વ્યવસાય માટે ભારતમાં આવવા માગે છે, પરંતુ તેમણે ભાર આપીને જણાવ્યું હતું કે, જે લોકો જોખમ ઉત્પન્ન કરે છે, તેમને ગંભીરતાથી નિપટવામાં આવશે. તેમણે લોકસભામાં ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ, 2025 પર ચર્ચા દરમિયાન આ ટિપ્પણી કરી હતી. સદનમાં અમિત શાહે કહ્યું કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર માત્ર એ લોકોને જ ભારતમાં આવતા અટકાવશે, જેમના ભારત આવવાના ઇરાદા દૂર્ભાવનાપૂર્ણ છે. દેશ કોઇ 'ધર્મશાળા' નથી. જે લોકો રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ ઉત્પન્ન કરે છે, તેમને દેશમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે. દેશ કોઇ 'ધર્મશાળા' નથી. જો કોઈ દેશના વિકાસમાં યોગદાન આપવા માટે દેશમાં આવે છે, તો તેનું હંમેશાં સ્વાગત છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, પ્રસ્તાવિત કાયદો દેશની સુરક્ષાને મજબૂત કરશે, અર્થવ્યવસ્થા અને વેપારને વેગ આપશે, સાથે જ સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્રોને પ્રોત્સાહિત કરશે. ઇમિગ્રેશન બિલ એ સુનિશ્ચિત કરશે કે દેશને ભારત આવનારા દરેક વિદેશી બાબતે નવીનતમ માહિતી મળે. મ્યાંમાર અને બાંગ્લાદેશથી રોહિંગ્યાઓ દ્વારા ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરીના મુદ્દા પર વાત કરતા અમિત શાહે કહ્યું કે, અંગત લાભ માટે ભારતમાં આશ્રય લેનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે, જેના કારણે દેશ અસુરક્ષિત થઇ ગયો છે. તેમણે ચીમકી આપી કે જો ઘૂસણખોર ભારતમાં અશાંતિ ફેલાવશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અમિત શાહે કહ્યું કે, આ બિલ દેશની સુરક્ષાને મજબૂત કરશે અને વર્ષ 2047 સુધીમાં ભારતને વિશ્વનો સૌથી વિકસિત દેશ બનવામાં મદદ કરશે. હું દેશને આશ્વસ્ત કરવા માગુ છું કે, આપણા દેશમાં આવનારા દરેક વિદેશી બાબતે આપણી પાસે નવીનતમ માહિતી હશે. હું એ બધાનું સ્વાગત કરું છું, જે પર્યટકના રૂપમાં, શિક્ષણ માટે, સ્વાસ્થ્ય સેવા માટે, અનુસંધાન અને વિકાસ માટે, વ્યવસાય વગેરે માટે ભારતમાં આવવા માગે છે, પરંતુ જે લોકો દેશ માટે જોખમ બનીને આવશે, અમે તેમના પર સખત નજર રાખીશું અને તેમની સામે કડક કાર્યવાહી કરીશું.
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતૃત્વવાળી મમતા સરકાર પર ગેરકાયદેસર ઘૂસણખોરી સામે કડક પગલાં ન લેવાનો આરોપ લગાવતા અમિત શાહે કહ્યું કે, ભારત-બાંગ્લાદેશ સરહદ પર 450 કિલોમીટર ફેન્સિંગનું કામ બાકી છે કેમ કે પશ્ચિમ બંગાળ સરકારે તેના માટે જમીન ન આપી. જ્યારે પણ ફેન્સિંગની પ્રક્રિયા પૂર્ણ થાય છે, તો બંગાળની સત્તાધારી પાર્ટીના કાર્યકર્તાઓ ગુંડાગર્દી અને ધાર્મિક નારા લગાવે છે. 450 કિમીની સરહદ પર ફેન્સિંગ લગાવવાનું કામ એટલે પૂર્ણ થઇ શક્યું નથી કેમ કે પશ્ચિમ બંગાળ સરકાર ઘૂસણખોરો પર મહેરબાન છે. લગભગ 2,200 કિલોમીટર બોર્ડર વિસ્તારમાંથી માત્ર 450 કિલોમીટર વિસ્તાર જ ફેન્સિંગ માટે બચ્યો છે, પરંતુ, પશ્ચિમ બંગાળ સરકાર ફેન્સિંગ લગાવવાના કામ માટે જમીન ઉપલબ્ધ કરાવી રહી નથી.
ગૃહમંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળ સરકારને 11 પત્રો લખવા અને આ મુદ્દા પર રાજ્યના અધિકારીઓ સાથે 7 ચરણની વાતચીત કર્યા છતા, ફેન્સિંગનું કામ બાકી છે. તેમણે આરોપ લગાવ્યો કે, ગેરકાયદેસર સ્થળાંતર માત્ર એ જ વિસ્તારમાંથી થઈ રહ્યું છે, રાજ્ય સરકાર ઘૂસણખોરો માટે આધાર કાર્ડ સુનિશ્ચિત કરી રહી છે અને તેઓ દેશના વિવિધ હિસ્સાઓમાં ફેલાઈ રહ્યા છે. દક્ષિણ 24 પરગણામાં સૌથી વધુ ગેરકાયદેસર આધાર કાર્ડ મળી આવ્યા છે, પરંતુ ચિંતા ન કરો, અમે આગામી વર્ષે બંગાળમાં સરકાર બનાવીશું અને બાકીના વિસ્તારમાં ફેન્સિંગ લગાવવામાં આવશે.

પશ્ચિમ બંગાળ સરકાર પર ગેરકાયદેસર ઘૂસણખોરોને સંરક્ષણ આપવાના અમિત શાહના આરોપોનો જવાબ આપતા TMCના સાંસદ સૌગત રોયે કહ્યું કે, અમે કોઈપણ ગેરકાયદેસર પ્રવાસીને ભારતમાં પ્રવેશ કરવાની મંજૂરી આપી રહ્યા નથી. કેન્દ્ર સરકાર માત્ર પશ્ચિમ બંગાળની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહી છે. કેટલાક અન્ય રાજ્યો ગેરકાયદેસર ઘૂસણખોરોને આશ્રય આપી શકે છે, પરંતુ પશ્ચિમ બંગાળ એમ કરી રહ્યું નથી. ભાજપ જૂઠ્ઠાણું ફેલાવી રહી છે કેમ કે તેમની નજર બંગાળની ચૂંટણી પર છે, પરંતુ તેઓ હારશે.
About The Author
Top News
આ આપણું ભારત છે, હિન્દુઓની મુસ્લિમો પર ફૂલ વર્ષા
રાજ ઠાકરે બોલ્યા- ‘ઔરંગઝેબ ગુજરાતમાં જન્મ્યો. શિવાજી મહારાજ એક..’
LPG, UPIથી લઈને ટોલ ટેક્સ... 1 એપ્રિલથી દેશમાં લાગુ થશે આ 10 મોટા ફેરફારો
Opinion
