- Politics
- આમ આદમી પાર્ટી ગુજરાતમાં સદંતર નિષ્ફળ રાજકીય ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન
આમ આદમી પાર્ટી ગુજરાતમાં સદંતર નિષ્ફળ રાજકીય ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન

આમ આદમી પાર્ટી (આપ) જે એક સમયે રાજકારણમાં પરિવર્તનનું પ્રતીક બનીને ઉભરી હતી તે આજે ગુજરાતમાં પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહી છે. ૨૦૧૨માં અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આ પાર્ટીએ દિલ્હીમાં સત્તા હાંસલ કરીને રાષ્ટ્રીય સ્તરે ચર્ચા માં આવી હતી. ગુજરાતમાં પણ તેની એન્ટ્રી ઘણી ધૂમધામથી થઈ પરંતુ જે ઝડપે તે રાજ્યમાં પ્રવેશી એટલી જ ઝડપે તેનું રાજકીય પ્રભુત્વ ઘટતું ગયું. આજે પક્ષની સ્થિતિ એવી છે કે ગણ્યાગાંઠ્યા નેતાઓ સિવાય તેની પાસે કાર્યકર્તાઓનો અભાવ છે અને ગુજરાતની જનતા તેને નકારી રહી હોય તેવું ચિત્ર ઉભરી રહ્યું છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પોતાની શરૂઆત સ્થાનિક મુદ્દાઓને આધારે કરી હતી. શિક્ષણ, આરોગ્ય અને ભ્રષ્ટાચાર વિરુદ્ધના વાયદાઓ સાથે તેણે ખાસ કરીને શહેરી મધ્યમ વર્ગ અને યુવાનોને આકર્ષવાનો પ્રયાસ કર્યો. ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષે ભાજપ અને કોંગ્રેસની સામે ત્રીજા વિકલ્પ તરીકે પોતાને રજૂ કર્યા. ગુજરાતના રાજકારણમાં ભાજપનું એકહથ્થુ આધિપત્ય અને કોંગ્રેસની નબળી સ્થિતિને જોતાં આપને એક તક દેખાતી હતી. પરંતુ ચૂંટણી પરિણામોએ સ્પષ્ટ કરી દીધું કે ગુજરાતની જનતા ભાજપના વિકાસના નેરેટિવ પર ભરોસો મૂકે છે અને આપના વાયદાઓ તેમને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યા.

આમ આદમી પાર્ટીની ગુજરાતમાં નિષ્ફળતાનું એક મુખ્ય કારણ તેના નેતાઓની કાયદાકીય મુશ્કેલીઓ છે. અરવિંદ કેજરીવાલ સહિતના મુખ્ય નેતાઓ દારૂ નીતિ કૌભાંડ જેવા કેસમાં જેલમાં ગયા જેની અસર પક્ષની છબી પર પડી. દિલ્હીમાં સત્તા ગુમાવ્યા બાદ ગુજરાતના સ્થાનિક નેતાઓ પણ એકલા પડી ગયા. પક્ષનું સંગઠન ગ્રામીણ વિસ્તારોમાં ક્યારેય મજબૂત બની શક્યું નહીં અને શહેરી વિસ્તારોમાં પણ તેની પકડ મર્યાદિત રહી. ગુજરાતમાં ભાજપના મજબૂત કેડર આધારિત સંગઠનની સામે આપની પાસે ન તો કાર્યકર્તાઓની ફોજ હતી ન તો સ્થાનિક મુદ્દાઓને ઉઠાવવાની રણનીતિ.
ગુજરાતની જનતા રાજકીય સ્થિરતા અને વિકાસને પ્રાધાન્ય આપે છે જે ભાજપે દાયકાઓથી પૂરું પાડ્યું છે. આમ આદમી પાર્ટીએ ભલે મફત વીજળી, પાણી અને શિક્ષણના વાયદા કર્યા પરંતુ આ વાયદાઓને જનતાએ ‘ખોટા આશ્વાસનો’ તરીકે જોયા. ગુજરાતના મતદારો માટે ભાજપનું મોદી ફેક્ટર અને સંગઠનાત્મક શક્તિ મુખ્ય ફેક્ટર છે. આવી સ્થિતિમાં આપની આંતરિક બાબતોએ તેની સ્થિતિને વધુ ખરાબ કરી છે. ગુજરાતમાં આગામી સ્થાનિક ચૂંટણીઓમાં જો આપ કોઈ નોંધપાત્ર પ્રદર્શન નહીં કરે તો જનતા તેને સંપૂર્ણપણે નકારી દેશે એવા સંકેતો હાલની પરિસ્થિતિમાંથી મળી રહ્યા છે.

ગુજરાતમાં કોંગ્રેસ પણ ભાજપની સામે ટકી રહેવામાં નિષ્ફળ રહી છે. જોકે કોંગ્રેસ પાસે ઐતિહાસિક પાયો અને ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ અમુક હદે સમર્થન છે. આપની પાસે ન તો ઇતિહાસ છે ન તો મજબૂત સંગઠન. આવી સ્થિતિમાં ગુજરાતમાં આપનું ભવિષ્ય અંધકારમય જણાય છે. જે રીતે કોંગ્રેસ માટે ભાજપનો સામનો કરવો કઠિન બન્યો છે તેવી જ રીતે આપ માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું એક મોટો પડકાર છે.

આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં નિષ્ફળ પરફોર્મન્સ એક રાજકીય પાઠ છે. સારા વાયદાઓ અને આશાઓથી શરૂઆત થઈ શકે છે પરંતુ તેને ટકાવી રાખવા માટે મજબૂત સંગઠન, સ્થાનિક સમર્થન અને વિશ્વસનીયતાની જરૂર હોય છે. આપે ગુજરાતમાં આ ત્રણેય કસોટીમાં નિષ્ફળતા મેળવી છે. જો પક્ષે પોતાની રણનીતિમાં સુધારો નહીં કરે તો ગુજરાતની જનતા તેને રાજકીય ઇતિહાસના પાનામાં એક નાનકડા પ્રકરણ તરીકે જ યાદ રાખશે.
Related Posts
Top News
‘વૃક્ષો કાપવા એ હ*ત્યા કરતા પણ મોટો ગુનો', સુપ્રીમ કોર્ટે 454 વૃક્ષો કાપનાર શખ્સને આપી આ સજા
GST જટિલ, વિયેતનામમાં માત્ર 8 ટકા અને અહીં...' શશિ થરૂર વિફર્યા
ભારતમાં ટેસ્ટિંગ થયેલી અને બનેલી OPPO F29 સીરિઝ, ડ્યુરેબલ ચેમ્પિયન ભારતમાં લોન્ચ
Opinion
