- Business
- વારંવાર ટેક્સ ઘટાડાની માંગ ન કરો, સરકારને પણ ભંડોળની જરૂર છેઃ નીતિન ગડકરી
વારંવાર ટેક્સ ઘટાડાની માંગ ન કરો, સરકારને પણ ભંડોળની જરૂર છેઃ નીતિન ગડકરી

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને વિનંતી કરીને વારંવાર કર ઘટાડાની માંગ ન કરવા જણાવ્યું છે. બુધવારે એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે, ગરીબો માટે કલ્યાણકારી યોજનાઓ ચલાવવા માટે સરકારને પણ ભંડોળની જરૂર હોય છે અને આ માટે કરવેરા લેવા જરૂરી છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીએ વધુમાં કહ્યું, 'GST અને અન્ય કરમાં વારંવાર ઘટાડો કરવાની માંગ ન કરો, તે એક સતત ચાલી આવતી પ્રક્રિયા છે. જો અમે કર ઘટાડીશું, તો તમે તેનાથી વધુ કર ઘટાડાની માંગ કરશો, કારણ કે આ એક માનવ સ્વભાવ છે. પરંતુ આપણે એ પણ સમજવું જોઈએ કે, કર લીધા વિના કેન્દ્ર સરકાર ગરીબો માટે કલ્યાણકારી યોજનાઓ કેવી રીતે ચલાવશે?'

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એમ પણ કહ્યું કે, સરકાર દેશમાં લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડીને 9 ટકા કરવા માટે કામ કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું, 'હાલમાં ભારતમાં લોજિસ્ટિક્સ ખર્ચ 14 ટકાથી 16 ટકા જેટલો છે, પરંતુ આગામી બે વર્ષમાં તે ઘટીને 9 ટકા જેટલો થઈ જવાની શક્યતા છે. આનાથી ભારતીય ઉદ્યોગો વૈશ્વિક બજારમાં વધુ સ્પર્ધાત્મક બનશે.'
ચીન અને અમેરિકાનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે, ચીનમાં લોજિસ્ટિક્સ ખર્ચ હાલમાં 8 ટકા છે, જ્યારે અમેરિકા અને યુરોપમાં તે 12 ટકાની નજીક છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ભારત પણ ટૂંક સમયમાં આ ક્ષેત્રમાં વધુ સારું પ્રદર્શન કરશે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ઉદ્યોગોને ઉત્પાદન ખર્ચ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ કરી છે, પરંતુ ગુણવત્તા સાથે સમાધાન ન કરશો. તેમણે વધુમાં કહ્યું, 'તમે માત્ર સંપત્તિ સર્જક જ નથી પણ નોકરી આપનાર પણ છો. આપણે આ સુવર્ણ કાળનો લાભ ઉઠાવવો જોઈએ અને દેશને વિકાસની દિશામાં આગળ વધારવા માટે તેની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવી જોઈએ.'
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીએ કહ્યું કે, ભારતને આત્મનિર્ભર બનાવવા માટે આયાત ઘટાડવી પડશે અને નિકાસ વધારવી પડશે. તેમણે કહ્યું કે, દેશને વિકસિત બનાવવા માટે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવું ખુબ જ જરૂરી છે.
Related Posts
Top News
આ વખતે સરેરાશ કરતાં 105 ટકા વધુ વરસાદ; IMDએ અંદાજ લગાવ્યો કે દેશમાં ભારે વરસાદ પડશે!
ભારતીય ટીમના બાંગ્લાદેશ પ્રવાસની જાહેરાત, 15 દિવસમાં થશે 6 મેચ, પહેલા થશે વન-ડે સીરિઝ
'જો મંદિરોમાં તાકત હોત તો...', સપા નેતાની વિવાદિત ટિપ્પણી, ભાજપ ગુસ્સામાં
Opinion
