- Opinion
- આશા રાખીએ ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ કાર્યકર્તાઓની લાગણી સમજે તેવા હોય
આશા રાખીએ ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ કાર્યકર્તાઓની લાગણી સમજે તેવા હોય

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત ટૂંક સમયમાં થવાની છે. આ જાહેરાત માત્ર એક નેતૃત્વની પસંદગી નથી પરંતુ પક્ષના પાયાના કાર્યકર્તાઓની લાગણીઓ અને સમર્પણનું સન્માન કાળજી લેનાર વ્યક્તિત્વની છે. ભાજપ એક એવો પક્ષ રહ્યો છે જે સંગઠનને પરિવારની ભાવના સાથે આગળ લઈ જાય છે. વર્ષોથી કાર્યકર્તાઓએ પોતાના અથાક પ્રયાસો અને નિષ્ઠાથી પક્ષને મજબૂત બનાવ્યો છે. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી આશ્ચર્યજનક રીતે સંગઠનમાં એવી લાગણી વર્તાઈ રહી છે કે પાયાના અને મહેનતુ કાર્યકર્તાઓની અવગણના થઈ રહી છે. આ લાગણીએ ભય, અવિશ્વાસ અને નિરાશાનો સૂર પેદા કર્યો છે જે પક્ષના સંગઠન માટે ચિંતાજનક છે.
ભાજપની સફળતાનો આધાર તેના કાર્યકર્તાઓ છે. ગામડેગામડે, શેરીએશેરીએ પક્ષના કાર્યક્રમો અને સંદેશને પહોંચાડનારા આ કાર્યકર્તાઓ જ પક્ષની સાચી મૂડી છે. તેઓ નિઃસ્વાર્થ ભાવે પોતાના પરિવાર અને વ્યક્તિગત જીવનને બાજુએ મૂકીને પક્ષ માટે કામ કરે છે. પરંતુ જ્યારે તેમની મહેનતની કદર ન થાય કે તેમની વાત સાંભળવામાં ન આવે ત્યારે નિરાશા જન્મે છે. આજે ઘણા કાર્યકર્તાઓને એવું લાગે છે કે સંગઠનનું ધ્યાન ફક્ત ચૂંટણી જીતવા અને ગુજરાતના કહેવાતા મોટા નેતાઓની ચમક પર કેન્દ્રિત થઈ ગયું છે જ્યારે પાયાના કાર્યકર્તાઓની સમસ્યાઓ અને લાગણીઓ પાછળ રહી ગઈ છે.
પ્રદેશ અધ્યક્ષની ભૂમિકા અહીં નિર્ણાયક બની જાય છે. તેઓ સંગઠનના વડીલ વાલી સમાન હોય છે. જેમની જવાબદારી ફક્ત નેતૃત્વ આપવાની અને ચૂંટણીઓ જીતવાની વાહવાહી લેવાનીજ નથી પરંતુ કાર્યકર્તાઓના મનોબળને ઊંચું રાખવાની અને તેમની લાગણીઓને સમજવાની પણ છે. છેલ્લા કેટલાક સમયથી આ બાબતમાં ચૂક રહી ગઈ હોય તેવું ચોક્કસથી જણાય રહ્યું છે. કાર્યકર્તાઓને એવું નહીં લાગવું જોઈએ કે તેઓ માત્ર ચૂંટણીઓ પૂરતા કામ કઢાવવા પુરતાજ સીમિત છે. તેમને પક્ષનો હિસ્સો હોવાનો અનુભવવાનો અધિકાર છે અને આ અધિકારનું રક્ષણ આવનારા નવા પ્રદેશ અધ્યક્ષે કરવું જોઈશે તો કાર્યકર્તાઓની લાગણીઓ જળવાશે.
નવા પ્રદેશ અધ્યક્ષ પાસે એક સુવર્ણ તક હશે કે તેઓ કાર્યકર્તાઓના હૃદય સુધી પહોંચે. તેમને સાંભળે તેમને સમજે નહીંકે જોહુકમી કરી કહેલું કરો એવું વર્તન કરે. તેમણે એવું વાતાવરણ ઊભું કરવું જોઈશે જ્યાં કાર્યકર્તાઓને લાગે કે તેમની વાત સાંભળવામાં આવે છે અને તેમની સમસ્યાઓનું અને પ્રશ્નોનું રજૂઆતોનું નિરાકરણ થાય છે અને તેમના સમર્પણની કદર કરવામાં આવે છે. આ માટે નવા પ્રદેશ અધ્યક્ષે ગ્રાસરૂટ લેવલ સુધી જઈને કાર્યકર્તાઓ સાથે સંવાદ અને સમન્વય સાધવો જોઈશે. તેમની નાનીનાની ચિંતાઓને પ્રશ્નોને પણ ગંભીરતાથી લઈને ઉકેલ લાવવો જોઈશે. જો કાર્યકર્તાઓનું મનોબળ ઊંચું રહેશે તો સંગઠન આપોઆપ મજબૂત બનશે. માત્ર સોશિયલ મીડિયામાં સક્રિયતા દાખવનારા નહીં પણ ધરતલપર કામ કરનાર કાર્યકર્તાઓમાં પક્ષ પ્રત્યે નિષ્ઠા અને એકબીજા પ્રત્યે આત્મીયતાનો ભાવ જાગૃત કરવો જોઈશે.
આશા રાખીએ કે ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ એવા હશે જે પાયાના કાર્યકર્તાઓની લાગણીઓને સમજશે અને તેમના સમર્પણને સાચવશે. કારણ કે પક્ષની સાચી શક્તિ તેના મોટા નેતાઓમાં નહી પરંતુ તેના નાનામાં નાના કાર્યકર્તામાં રહેલી છે. આ શક્તિને જાળવવી એ જ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના આવનારા નવા અધ્યક્ષની સૌથી મોટી કસોટી અને જવાબદારી હશે.
(ઉપરોક્ત લેખમાં રજૂ થયેલા વિચારો ભાજપના એક અદના કાર્યકર્તાના અંગત વિચારો છે.)
Related Posts
Top News
આ જગ્યાએ શિક્ષકોની નોકરીઓ પર લટકી તલવાર, 2006ના 'ભેદભાવ'થી મચ્યો હાહાકાર
કોણ છે જસ્ટિસ બી.આઈ.ગવઇ? જેઓ ભારતના આગામી CJI બનશે
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Opinion
