- Opinion
- કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા

(ઉત્કર્ષ પટેલ)
કિશોરભાઈ વાંકાવાલા એ ગુજરાતના રાજકારણ અને સમાજસેવાના ક્ષેત્રમાં એક એવું નામ છે જે સુરત શહેરના નાગરિકોના હૃદયમાં આજે પણ જીવંત છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પાયાના કાર્યકર્તાઓમાંના એક તરીકે તેમણે સુરતમાં પાર્ટીનો પાયો મજબૂત કરવામાં અમુલ્ય યોગદાન આપ્યું હતું. મૂળ સુરતી અને સાચા અર્થમાં સુરતના દીકરા એવા કિશોરભાઈએ પોતાનું સમગ્ર જીવન લોકોની સેવા અને સંગઠન માટે સમર્પિત કરી દીધું. તેમની સાદગી, સમર્પણ અને સમાજ પ્રત્યેની નિષ્ઠાએ તેમને એક પ્રેરણાત્મક વ્યક્તિત્વ બનાવ્યા.
કિશોરભાઈ વાંકાવાલાનો જન્મ સુરતમાં એક સામાન્ય પરિવારમાં થયો હતો. તેમનું જીવન સાદું હતું પરંતુ તેમના વિચારો અને આદર્શો ઉચ્ચ હતા. નાનપણથી જ તેમનામાં સમાજ પ્રત્યેની સંવેદનશીલતા અને લોકોની મદદ કરવાની ભાવના જોવા મળતી હતી. જ્યારે ભાજપની સ્થાપના થઈ અને તે ગુજરાતમાં પોતાના પગ જમાવવાની શરૂઆતમાં હતી ત્યારે કિશોરભાઈએ ભાજપના સંગઠન સાથે જોતરાઈને પોતાની ક્ષમતાઓને નવું રૂપ આપ્યું. તેમણે ભાજપના કાર્યકર્તા તરીકે નાના સ્તરથી શરૂઆત કરી અને ધીમે ધીમે પોતાની મહેનત અને ધગસથી પાર્ટીના મજબૂત સ્તંભ તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું.
કિશોરભાઈનું જીવન એક સાચા સમાજસેવી કાર્યકર્તાનું ઉદાહરણ છે. તેઓ માત્ર રાજકીય નેતા જ નહોતા પરંતુ એક એવા સમાજસેવક હતા જે લોકોની નાનીમોટી સમસ્યાઓને સાંભળીને તેનું નિરાકરણ લાવવામાં હંમેશા તત્પર રહેતા. સુરતના નાગરિકોની સમસ્યાઓને તેઓ પોતાની સમસ્યાઓ માનતા અને તેને ઉકેલવા માટે દિવસરાત એક કરી દેતા. પછી ભલે તે કુતરતી આપત્તિ હોય, પાણીની સમસ્યા હોય, રસ્તાઓની સ્થિતિ હોય કે ગરીબોને મદદની જરૂર હોય કિશોરભાઈ હંમેશા લોકોની સાથે ઊભા રહેતા.
તેમની ખાસિયત એ હતી કે તેઓ ક્યારેય પોતાની ઓળખ કે પદનો દુરુપયોગ નહોતા કરતા. એક સામાન્ય કાર્યકર્તાની જેમ તેઓ લોકોની વચ્ચે રહેતા અને તેમની સાથે સીધો સંપર્ક સાધતા. આ જ કારણે સુરતના લોકો તેમને ખૂબ પ્રેમ કરતા અને તેમના પર ભરોસો રાખતા. તેમની આ સાદગી અને સમર્પણભાવનાએ તેમને એક લોકપ્રિય નેતા બનાવ્યા.
ભાજપના સંગઠનને મજબૂત કરવામાં કિશોરભાઈની ભૂમિકા અવિસ્મરણીય છે. જ્યારે ભાજપ ગુજરાતમાં પોતાની પકડ મજબૂત કરી રહી હતી ત્યારે કિશોરભાઈએ સુરતમાં પાર્ટીના કાર્યકર્તાઓને તૈયાર કરવાનું મહત્ત્વનું કામ કર્યું. તેમણે નવા કાર્યકર્તાઓને પ્રેરણા આપી તેમને સંગઠનના મૂલ્યો સમજાવ્યા અને લોકો સુધી પહોંચવાની કળા શીખવી. તેમના દ્વારા તૈયાર કરાયેલા કાર્યકર્તાઓ આજે પણ ભાજપમાં સક્રિય છે અને તેમના આદર્શોને લઈને આગળ વધારી રહ્યા છે.
તેમનું નેતૃત્વ એવું હતું કે તેઓ ક્યારેય પોતાની સફળતાનો શ્રેય નહોતા લેતા પરંતુ હંમેશા ટીમના સામૂહિક પ્રયાસોને મહત્ત્વ આપતા. આ જ કારણે તેમની આસપાસના કાર્યકર્તાઓમાં એકતા અને ઉત્સાહનું વાતાવરણ રહેતું. તેમની આ નિષ્ઠા અને સંગઠન પ્રત્યેનો પ્રેમ યુવા પેઢી માટે પ્રેરણાદાયી છે.
કિશોરભાઈ વાંકાવાલાએ પોતાના જીવનના અંતિમ તબક્કામાં બીમારી વચ્ચે પણ સક્રિયતા જાળવી રાખી હતી. જીવનના આ પડાવે જ્યાં ઘણા લોકો નિવૃત્તિ લેવાનું વિચારે છે ત્યાં કિશોરભાઈ સમાજસેવા અને સંગઠનના કામમાં લાગેલા રહ્યા. તેમની શારીરિક ક્ષમતાઓ ભલે ઓછી થઈ હોય હતી પરંતુ તેમનો જુસ્સો અને ઉત્સાહ ક્યારેય ઓછો ન થયો. તેઓ હંમેશા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા અને લોકોની સમસ્યાઓ સાંભળવા માટે ઉપલબ્ધ રહેતા. તેમના આ અંતિમ સમયમાં પણ તેમની પ્રેરણાશક્તિ એટલી પ્રબળ હતી કે ઘણા યુવાનો તેમની પાસેથી પ્રેરણા લઈને સમાજસેવા અને રાજકારણમાં જોડાયા. તેમનું જીવન એક દીવાદાંડી જેવું હતું, જે આખરી શ્વાસ સુધી પ્રકાશ પાથરતું રહ્યું.
કિશોરભાઈ વાંકાવાલા જેવા નેતાઓની આજે સુરતના સુરતી સમાજમાં ખૂબ જ ખોટ વર્તાય છે. આજના સમયમાં રાજકારણ અને સમાજસેવા ઘણીવાર વ્યક્તિગત લાભ અને પ્રસિદ્ધિનું સાધન બની ગયા છે. નેતાઓમાં સમર્પણ, સાદગી અને લોકો પ્રત્યેની સંવેદનશીલતાનો અભાવ જોવા મળે છે. કિશોરભાઈ જેવા નેતાઓ પોતાના હિતને બાજુએ મૂકીને સમાજના હિત માટે કામ કરતા હતા જે આજે અદ્રશ્ય બનેલું જણાય છે.
આજના સમયે નેતાઓમાં ઘણીવાર પદ પ્રતિષ્ઠા અને આર્થિક સુખાકારી અગત્યનું થઈ રહેલું જણાય છે જ્યારે કિશોરભાઈ જેવા લોકો સેવાને જ પોતાનું ધ્યેય માનતા હતા. સમાજને આજે એવા નેતાઓની જરૂર છે જે લોકોની વચ્ચે રહીને તેમની સાથે જોડાઈને કામ કરે અને સાચા અર્થમાં સેવાનો ભાવ ધરાવે.
અંતે...કિશોરભાઈ વાંકાવાલા એક એવા વ્યક્તિત્વ રહ્યા જેમણે કાર્યકર્તા અને યુવાઓને પોતાના જીવન દ્વારા સમર્પણ, સેવા અને સંગઠનનું મૂલ્ય શીખવ્યું. તેમનું જીવન એક પ્રેરણાસ્ત્રોત છે જે આજની પેઢીને બતાવે છે કે સાચી સફળતા સત્તા કે પૈસામાં નથી પરંતુ લોકોના હૃદયમાં સ્થાન મેળવવામાં અને સમાજની સેવા કરવામાં છે. તેમના જેવા નેતાઓની ખોટ આજે ભરપાઈ નથી થઈ શકતી પરંતુ તેમના આદર્શોને અનુસરીને આપણે સમાજને સાચા મૂલ્યો સાથે સમાજસેવા કરનાર યુવાઓ જરૂરથી આપી શકીશું.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજસેવક છે. લેખમાં વ્યક્ત કરેલા વિચારો તેમના અંગત વિચારો છે.)
Related Posts
Top News
સ્વામીનારાયણ સંતો 48 કલાકમાં માફી માંગે, દ્વારકામાં સનાતન ધર્મના લોકોની રેલી
હેલ્મેટ ન પહેરવા બદલ અમદાવાદના યુવકને 10 લાખનું E-ચલણ મોકલાયું, 11 મહિનાથી ધક્કા ખાય છે
આ 3 એવા ક્ષેત્રો છે જેની પર AIની અસર ન થશે, બાકી ખતમ: બિલ ગેટ્સ
Opinion
