- National
- ઘરો બનાવીને આપવા પડશે; પ્રયાગરાજમાં કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની યોગી સરકારને ફટકાર
ઘરો બનાવીને આપવા પડશે; પ્રયાગરાજમાં કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની યોગી સરકારને ફટકાર

પ્રયાગરાજમાં કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વિના લોકોના મકાનો તોડી પાડવાના મામલાની સુપ્રીમ કોર્ટે નોંધ લીધી છે. બુધવારે સુનાવણી દરમિયાન કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને સખત ઠપકો આપ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આવી કાર્યવાહી આઘાતજનક છે અને ખૂબ જ ખોટું ઉદાહરણ રજૂ કરે છે. સુનાવણી દરમિયાન, ન્યાયાધીશ અભય ઓક અને ન્યાયાધીશ N કોટીશ્વર સિંહની બેન્ચે મકાનો તોડી પાડવાને દમનકારી પગલું ગણાવ્યું. કોર્ટે એમ પણ કહ્યું છે કે, સરકારે મકાનો ફરીથી બનાવવા પડશે અને લોકોને પરત કરવા પડશે.
સુનાવણી દરમિયાન, કોર્ટે કહ્યું, 'પ્રથમ નજરે, આ કાર્યવાહી આઘાતજનક છે અને ખોટો સંદેશ આપે છે. આને સુધારવાની જરૂર છે. તમે મકાનો તોડીને આવી કાર્યવાહી કેમ કરી રહ્યા છો? અમને ખબર છે કે આવી તકનીકી દલીલોનો સામનો કેવી રીતે કરવો. છેવટે, કલમ 21 અને આશ્રયના અધિકાર જેવું કંઈક હોય છે.' સુપ્રીમ કોર્ટ ઝુલ્ફીકાર હૈદર, પ્રોફેસર અલી અહેમદ, બે વિધવાઓ અને અન્ય એક વ્યક્તિ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમણે સરકાર પર ગેરકાયદેસર રીતે મકાનો તોડી પાડવાનો આરોપ લગાવ્યો છે. જ્યારે, સરકારના મતે, આ જમીન ગેંગસ્ટર-રાજકારણી અતીક અહેમદની હતી, જે 2023માં પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.
આ અગાઉ, અલ્હાબાદ હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી, ત્યારપછી તેમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. અરજદારોએ જણાવ્યું હતું કે, તેમને માર્ચ 2021માં શનિવારે રાત્રે નોટિસ આપવામાં આવી હતી અને રવિવારે ઘરો તોડી પાડવામાં આવ્યા હતા. અરજદારોએ એમ પણ કહ્યું છે કે, રાજ્યએ પોતાની ભૂલ સ્વીકારવી જોઈએ. સરકાર વતી કેસ રજૂ કરતી વખતે, એટર્ની જનરલ R વેંકટરામણીએ કહ્યું કે, લોકોને નોટિસનો જવાબ આપવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો. જોકે, જસ્ટિસ ઓકા અસંમત હતા. જસ્ટિસ ઓકાએ કહ્યું, 'નોટિસ આ રીતે કેમ ચોંટાડવામાં આવી? કુરિયર દ્વારા કેમ મોકલવામાં ન આવી? કોઈપણ વ્યક્તિ આ રીતે નોટિસ આપીને તેની તોડફોડ કરશે. આ એક ખરાબ ઉદાહરણ છે.'
આ સમય દરમિયાન, એટર્ની જનરલે કેસને હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાની માંગ કરી. AGએ કહ્યું, 'હું ડિમોલિશનનો બચાવ નથી કરી રહ્યો, પરંતુ હાઈકોર્ટને તેના પર વિચાર કરવા દો.' જોકે, કોર્ટે આ માંગણી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું, 'બિલકુલ નહીં. ફરીથી હાઈકોર્ટમાં ન જવું જોઈએ. પછી મામલો મુલતવી રાખવામાં આવશે.'
કોર્ટે કહ્યું કે તોડી પાડવામાં આવેલા મકાનો ફરીથી બનાવવા પડશે. કોર્ટે કહ્યું, તેનું પુનર્નિર્માણ કરવું પડશે. જો તમે સોગંદનામું દાખલ કરીને વિરોધ કરવા માંગતા હો, તો તે ઠીક છે, નહીં તો બીજો ઓછો શરમજનક રસ્તો એ હશે કે, તેમને બાંધકામ કરવાની મંજૂરી આપવામાં આવે અને પછી કાયદા મુજબ તેમને નોટિસ આપવામાં આવે.'
Related Posts
Top News
ચીન આટલું મીઠું કેમ બની રહ્યું છે, 85 હજાર ભારતીયોને વીઝા આપ્યા
ટ્રેનમાં રોકડની જરૂર પડી ગઈ છે? નો ટેન્શન, રેલવેએ ટ્રેનમાં ATM મશીન જ મૂકી દીધું
રાહુલે ગુજરાતમાં કહ્યું- કોંગ્રેસમાં ત્રીજા પ્રકારના ઘોડા પણ છે
Opinion
